Mehsana: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પૂર, વિજાપુર-હિંમતનગરને જોડતો દેરોલ બ્રિજ બંધ કરાયો

નદી બે કાંઠે વહેતી થતાં રાહદારીઓ પાણી જોવા અને ફોટા પાડવા માટે બ્રિજ ઉપર ઉભા રહેતા હોવાનું ધ્યાને આવ્યું છે. આથી જ્યાંથી નદીમાં પાણીનો પ્રવાહ સામાન્ય ના બને ત્યાં સુધી બંધ રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 24 Aug 2025 06:10 PM (IST)Updated: Sun, 24 Aug 2025 06:10 PM (IST)
mehsana-news-vijapur-himmatnagar-connecting-derol-bridge-close-due-to-sabarmati-river-flood
HIGHLIGHTS
  • ઘણો જૂનો દેરોલ બ્રિજ જર્જરિત થઈ ગયો હોવાથી લેવાયો નિર્ણય
  • નિષ્ણાંત ટીમ દ્વારા બ્રિજનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું

Mehsana: છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ગુજરાતને ઘમરોળી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ચારેક દિવસથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે નદી-નાળા પણ છલકાઈ ગયા છે. એવામાં મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિજાપુર-હિંમતનગરને જોડતો દેરોલ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાબરકાંઠા-મહેસાણા જિલ્લાને જોડતો વિજાપુર-હિંમતનગર સ્ટેટ હાઈવે-55 પર દેરોલ ગામ નજીક સાબરમતી નદી પર આવેલ બ્રિજ જૂનો થઈ ગયો હોવાથી તેને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો.

હાલ બ્રિજ નિષ્ણાંત ટીમ દ્વારા મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું. બ્રિજ ગણો જૂનો તથા જર્જરીત હાલતમાં હોય હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂર આવેલ છે.

સ્થાનિક લોકો તથા રાહદારીઓ પૂલને જોવા તથા ફોટા પાડવા માટે બ્રિજ ઉપર ઉભા રહેતા હોવાથી ટ્રાફિકને લગતી સમસ્યા ધ્યાને આવેલ છે તથા સૂચના આપવા છતાં તેનું પાલન કરાતુ નથી. જે લોકહિતમાં અત્યંત ગંભીર બાબત હોય ઉપરોક્ત બાબતને ધ્યાન રાખતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી હાલમાં જ્યાં સુધી નદીમાં પાણીનો પ્રવાહ સામાન્ય ન બને ત્યાં સુધી રોડ વપરાશ કરતા લોકોની સલામતી જોખમાય નહીં તે માટે આ બ્રિજને સદંતર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે.