Stray Dogs Case: કોઈને કૂતરા પ્રત્યે નફરત નથી,પરંતુ કરડવાના અને મોતના આંકડા જુઓ… રખડતા કૂતરા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સિબ્બલે જણાવ્યું કે કૂતરા પકડવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, પરંતુ શેલ્ટર હોમ્સ પૂરતા નથી અને જ્યાં છે ત્યાં જગ્યા ઓછી હોવાથી કૂતરા વધુ ખતરનાક બની શકે છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 14 Aug 2025 11:56 AM (IST)Updated: Thu 14 Aug 2025 11:56 AM (IST)
supreme-court-hearing-on-stray-dogs-in-delhi-kapil-sibal-sg-say-majority-are-victims-585057

Supreme Court on Stray Dogs: રખડતા કૂતરા મામલે સુપ્રીમ કોર્ટમાં ફરીથી વિચારણા કરવામાં આવી રહી છે, જ્યાં સર્વોચ્ચ અદાલતે અગાઉ તેમને રસ્તાઓ પરથી હટાવીને શેલ્ટર હોમ્સમાં રાખવાનો નિર્ણય આપ્યો હતો. આ મામલે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આ મામલામાં પીડિતોની બહુમતી વધારે છે. સુપ્રીમ કોર્ટે હાલ માટે આદેશ સુરક્ષિત રાખ્યો છે.

કોઈને કૂતરા પ્રત્યે નફરત નથી

SG તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે કોઈને કૂતરા પ્રત્યે નફરત નથી, પરંતુ બધાને ઘરે રાખી શકાતા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે બાળકો મરી રહ્યા છે અને રેબીઝ તથા કૂતરાના કરડવાના આંકડા જુઓ. તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક આંકડો રજૂ કર્યો જેમાં કહેવામાં આવ્યું કે 2024માં દેશભરમાં કૂતરા કરડવાના 37 લાખ કેસ નોંધાયા હતા અને તે જ વર્ષે રેબીઝથી 305 લોકોના મોત થયા હતા, જોકે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના મોડેલ મુજબ આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.

બાળકો ખુલ્લી જગ્યાઓમાં રમવા જઈ શકતા નથી

બીજી તરફ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશ પર રોક લગાવવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી કે નોટિસ વિના સ્વતઃ સંજ્ઞાન લઈને આવો આદેશ યોગ્ય નથી. સિબ્બલે જણાવ્યું કે કૂતરા પકડવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, પરંતુ શેલ્ટર હોમ્સ પૂરતા નથી અને જ્યાં છે ત્યાં જગ્યા ઓછી હોવાથી કૂતરા વધુ ખતરનાક બની શકે છે. તેમણે 'પ્રોજેક્ટ કાઉન્ડનેસ' વતી રજૂઆત કરતા કહ્યું કે નિયમોનું યોગ્ય રીતે અમલીકરણ થવું જોઈએ.

SG મહેતાએ એ પણ ભારપૂર્વક જણાવ્યું કે નસબંધી કરાવવાથી રેબીઝ અટકતો નથી, ભલે તેમને રસી આપવામાં આવે. તેમણે કોર્ટે આ સમસ્યાનો ઉકેલ શોધવા વિનંતી કરી કારણ કે બાળકો ખુલ્લી જગ્યાઓમાં રમવા જઈ શકતા નથી.

ડો. સિંઘવીએ SG મહેતા પર પૂર્વગ્રહ રાખવાનો આરોપ મૂક્યો અને સંસદમાં અપાયેલા જવાબનો ઉલ્લેખ કર્યો કે રેબીઝથી લોકોના મોત થયા નથી. સિંઘવીએ સ્વીકાર્યું કે કૂતરાનું કરડવું ખતરનાક છે, પરંતુ કહ્યું કે જેવો ભય દર્શાવવામાં આવી રહ્યો છે, તેવી પરિસ્થિતિ નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મામલો હજુ સમાપ્ત થયો નથી અને તે દરેક પાસાને સાંભળશે.

બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ પરેશાન

જસ્ટિસ નાથે દિલ્હી સરકારને નિયમોના અમલ અંગે તેમનો પક્ષ પૂછ્યો અને નગર નિગમની નિષ્ક્રિયતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સ્થાનિક અધિકારીઓએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. એક મહિલા વકીલે પણ જણાવ્યું કે રખડતા કૂતરાંથી બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ પરેશાન છે અને સરકાર કાં તો નિયમોનો યોગ્ય અમલ કરે અથવા કૂતરાને હટાવે. સુપ્રીમ કોર્ટે હાલ પૂરતો આદેશ સુરક્ષિત રાખ્યો છે.