Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ તારીખ 23-08-2025ને શનિવારના રોજ દિવ્ય વાઘા પહેરાવ્યા છે. તથા શ્રીકષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો અને ચોકલેટ અન્નકૂટ ધરાવાયો છે. મંદિરમાં ફુગ્ગાઓનુ શુશોભન કરાયું હતું.
આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. શ્રીહરિ મંદિરમાં હિંડોળા કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. તેની પૂર્ણાહુતી પણ કરવામાં આવી હતી. અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
હનુમાનજીને આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રાવણ મહિનાના શનિવાર અને અમાસ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસને આ શણગાર કરતાં સંતો અને ભક્તોને બે દિવસ થયા હતા. તો વૃંદાવનમાં એક અઠવાડિયાની મહેનત તૈયાર થયેલા વાઘા હનુમાનજીને પહેરાવ્યા છે. આજે બપોરે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવાશે અને તેની આરતી કરાશે.સાંજે ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતીનું આયોજન કરવામાં છે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તારીખ 25-07-2025થી તારીખ 23-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમોમાં દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ - સવારે - સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ - ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રીકૃષ્ણ જન્મોત્સવ - દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શન- શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યા હતા વગેરેનું દાદાના મંદિરમાં ભવ્ય આયોજન કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી એવં અથાણાવાળા સંતમંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.