Gir Somnath: અમદાવાદમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો અને બંદૂક તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આજે સવારે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ચાર આરોપીઓને દુધઈ નજીક આવેલા ફાર્મહાઉસથી ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણને જૂનાગઢ જિલ્લાના ગાદોઈ ગામ ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો
સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા મનોરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે , ધ્રુવરાજસિંહ અને દેવાયત ખવડ વચ્ચે થયેલા ઝઘડા બાદ બંને પક્ષ સામસામે સોશિયલ મીડિયા પર રીલ્સ મૂકતા હતા. જેનો ખાર રાખીને દેવાયત ખવડ સહિતના આરોપીઓએ આ હુમલો કર્યો હતો.
પોલીસને હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બે કાર ગીર સોમનાથમાંથી બિનવારસી મળી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ કારની નંબર પ્લેટ પણ કાઢી નાખવામાં આવી હતી. પોલીસે કારના માલિકોનો સંપર્ક કરતા ખુલાસો થયો હતો કે, દેવાયત ખવડે પંદર દિવસ પહેલાં આ કાર તેમની પાસેથી લીધી હતી.
પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, હજુ પણ કેટલાક હથિયારો કબ્જે કરવાના બાકી છે. આ મામલે પોલીસે દેવાયત ખવડ સિવાયના અન્ય આરોપીઓની ઓળખ પરેડ કરાવશે. આ સમગ્ર મામલે આરોપીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.