Gir Somnath: ગીર સોમનાથ: તાલાલામાં મારામારીના ગુનામાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડની ગીર સોમનાથ LCB પોલીસે ધરપકડ કરી છે. જે બાદ પોલીસ દેવાયત ખવડને લઈને ગીર સોમનાથ LCB પોલીસ એસ.પી. ઓફિસ ખાતે પહોંચી હતી.
હકીકતમાં LCB પોલીસે દેવાયત ખવડને તેના વતન દુધઈ ગામથી ઝડપી પાડ્યો હતો. હવે તેને ગીર સોમનાથ LCB પોલીસ ઓફિસમાં વધુ પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે. પોલીસ આ મામલામાં વધુ વિગતો મેળવવા માટે દેવાયત ખવડની પૂછપરછ કરી રહી છે.
જંગલમાંથી દેવાયત ખવડની બે કાર બિનવારસી મળી
ગત 12 ઓગસ્ટે સવારે 11 વાગ્યાના અરસામાં ધ્રુવરાજસિંહ નામનો યુવક તાલાલાના ચિત્રવડ ગામેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે દેવાયત ખવડ અને તેના સાગરિતોને કારે ધ્રુવરાજસિંહની કારને ટક્કર મારી હતી. જે બાદ 10થી વધુ લોકોએ લોખંડના પાઈપ વડે ધ્રુવરાજસિંહ પર તૂટી પડ્યા હતા અને તેનો સોનાનો દોરો અન રોકડ લૂંટી લીધી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે દેવાયત ખવડ સહિત તેના 15 સાગરિતો વિરુદ્ધ લૂંટ, હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બસ ત્યારથી દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જો કે ગઈકાલે તાલાલા પોલીસને બાકુલા ધણેજ ગામમાં આવેલ પીઠળ આઈ માતાજી મંદિર નજીકના જંગલ વિસ્તારમાંથી દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને ક્રેટા કાર મળી આવી હતી.