Ganesh Utsav 2025: વડોદરામાં ગણેશોત્સવની ઉજવણીમાં પર્યાવરણ માટે અનોખી પહેલ, કેસુડાના પાનમાંથી બનાવી 9.7 ફૂટ ઊંચી ગણેશ મૂર્તિ

મૂર્તિનું સ્ટ્રક્ચર વાંસની લાકડીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જ્યારે તેની સજાવટ માટે અંદાજે 7,500થી 8,000 કેસુડાના પાન લગાવવામાં આવ્યા છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 23 Aug 2025 11:23 AM (IST)Updated: Sat 23 Aug 2025 11:24 AM (IST)
vadodara-celebrates-ganesh-utsav-2025-with-9-7-feet-eco-friendly-kesuda-leaf-idol-590367
HIGHLIGHTS
  • આ પહેલનો મુખ્ય હેતુ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવાનો છે.
  • શ્રી ગણેશ યુવક મંડળ છેલ્લા નવ વર્ષથી પર્યાવરણમિત્ર મૂર્તિઓ બનાવી રહ્યું છે.

Ganesh Utsav 2025: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના વલ્લભનગરમાં શ્રી ગણેશ યુવક મંડળે આ વર્ષે ગણેશોત્સવની ઉજવણીમાં પર્યાવરણને અનુકૂળ એક અનોખી પહેલ કરી છે. મંડળે 9.7 ફૂટ ઊંચી ગણેશ મૂર્તિ બનાવી છે, જે સંપૂર્ણ રીતે કુદરતી સામગ્રીથી તૈયાર કરવામાં આવી છે. મૂર્તિનું સ્ટ્રક્ચર વાંસની લાકડીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જ્યારે તેની સજાવટ માટે અંદાજે 7,500થી 8,000 કેસુડાના પાન લગાવવામાં આવ્યા છે.

મંડળના સભ્યોના જણાવ્યા અનુસાર, આ પહેલનો મુખ્ય હેતુ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવાનો છે. સામાન્ય રીતે પી.ઓ.પી. (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓ પાણી પ્રદૂષણનું મુખ્ય કારણ બને છે, જ્યારે ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ પર્યાવરણને સુરક્ષિત રાખે છે. આ મૂર્તિ બનાવવામાં આશરે રૂપિયા 7,000થી રૂપિયા 8,000 જેટલો ખર્ચ આવ્યો છે, જે તુલનાત્મક રીતે ઓછો ગણાય છે.

શ્રી ગણેશ યુવક મંડળ છેલ્લા નવ વર્ષથી પર્યાવરણમિત્ર મૂર્તિઓ બનાવી રહ્યું છે. આ વર્ષે ખાસ કરીને કેસુડાના પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે આ પાન ઔષધીય ગુણોથી ભરપૂર છે અને ઘા-ઈજાની સારવારમાં ઉપયોગી છે. ધાર્મિક માન્યતાઓ મુજબ પણ કેસુડાનું વૃક્ષ પવિત્ર માનવામાં આવે છે, તેથી તેનું મહત્વ વધુ છે.

વિસર્જન બાદ મંડળ પર્યાવરણમિત્ર પદ્ધતિ અપનાવશે. કેસુડાના પાનને પાણીમાં પલાળી, તેને ક્રશ કરીને ખાતર તરીકે ઉપયોગમાં લેવાશે, જેથી કુદરતી ચક્રમાં તેનો ફરી ઉપયોગ શક્ય બને. આ પ્રયાસ દ્વારા મંડળ લોકજાગૃતિ ફેલાવવા અને પ્રકૃતિ સાથે સંવાદ સ્થાપિત કરવાનો સંદેશ આપે છે.

મંડળના સભ્યોનો વિશ્વાસ છે કે જો વધુ મંડળો ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ વળશે, તો પાણી પ્રદૂષણમાં ઘટાડો થશે અને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ પર્યાવરણ ઉપલબ્ધ થશે. વડોદરાના વલ્લભનગરમાં બનાવાયેલી આ અનોખી કૃતિ લોકોનું આકર્ષણ બની રહી છે અને ગણેશભક્તોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.