Rajkot News: ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકની ટીમ દોડી ગઈ હતી. જ્યારે ગોંડલ DySP કે. જી. ઝાલા પણ બનાવ સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી પૂજાબેન ધવલભાઈ મકવાણા (ઉ.વ.20) ગઈ તારીખ 20ના પોતાની ઘરે હતી. ત્યારે રાતના 8 વાગ્યાની આસપાસ પોતાના રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાદ પરિવારજનો દોડી આવતાં 108ને જાણ કરી હતી.
દોડી આવેલ 108ની ટીમે પરિણીતાને તપાસી મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના PSI આર. જે. જાડેજા ટીમ સાથે બનાવ સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, મૃતકનું માવતર જસદણનું જસાપર ગામ છે. તેમના લગ્ન છ માસ પહેલા થયા હતા. આ બનાવની જાણ થતા ગોંડલ DySP કે. જે. ઝાલા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.