Rajkot: થોડા સમય અગાઉ વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા (Gopal Italia) અને મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયા (Kantilal Amrutiya) વચ્ચે હાકલા-પડકારા થયા હતા. પાટીદાર નેતાઓ બાદ હવે કોળી નેતાઓ સામ-સામે આવી જતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
હકીકતમાં ભાજપના દિગ્ગજ નેતા અને કોળી સમાજના અગ્રણી કુંવરજી બાવળિયાના (Kunvarji Bavaliya) ગઢ ગણાતા જસદણ-વિંછીયામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAP નેતા બ્રિજરાજ સોલંકીએ (Brijraj Solanki) સ્થાનિક નેતા કુંવરજી બાવળિયા પર આકરા પ્રહારો કર્યા હતા, જેના જવાબમાં બાવળિયાએ પણ વળતો પ્રહાર કરતા વિવાદ વધુ વકર્યો છે.
કુંવરજી બાવળિયાએ કોળી સમાજ સાથે ગદ્દારી કરી: બ્રિજરાજ સોલંકી
આ સભામાં બ્રિજરાજ સોલંકીએ વિંછીયાના ઘનશ્યામ રાજપરાની હત્યાનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે, જસદણ-વિંછીયામાં કોળી સમાજની સૌથી વધુ વસ્તી છે. મારે કોળી સમાજના દીકરા તરીકે કહેવું છે કે, જ્યારે-જ્યારે હું જસદણ આવું છું ત્યારે-ત્યારે મને ઘનશ્યામભાઈ રાજપરા યાદ આવે છે.
ઘનશ્યામભાઈએ પોલીસ, મામલતદાર અને નેતાઓ પાસે પોતાની જાનનું જોખમ હોવાનું જણાવ્યું હતું. આમ છતાં કોઈએ તેમની વાત ગંભીરતાથી ન લીધી અને તેમની હત્યા કરી દેવામાં આવી. આ મામલે ન્યાય માટે ગયેલા પરિવાર અને બહેન-દીકરીઓ પર પોલીસે લાઠીચાર્જ કરી તેમને લોહીલુહાણ કરી દીધા હોવાનો પણ તેમણે દાવો કર્યો.
કુંવરજી બાવળિયા પર પ્રહાર કરતાં આપ નેતાએ જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષથી કોળી સમાજનો ધારાસભ્ય છે, કેબિનેટ મંત્રી છે. આમ છતાં પણ સમાજે ન્યાય માટે ભીખ માંગવી પડે છે. ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડે છે, તો આવા ધારાસભ્યને કહેવા માંગીશ કે, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો."
આ સમાજે તમારા માટે શું નથી કર્યું? તમને જીતાડવા માટે બહેન-દીકરીઓએ ઉપવાસ કર્યા છે, માનતાઓ માની છે, વડીલોએ રાત-દિવસ એક કર્યા છે. આમ છતાં પણ તમે સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો અને ગદ્દારી કરી છે.
આટલેથી ના અટકતાં બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને પડકાર ફેંકતા જણાવ્યું કે, જો તમારી પાર્ટી તમારું ન સાંભળતી હોય, તો ખેસ ઘરે મૂકીને આંદોલન માટે રસ્તા પર ઉતરી જાઓ. હું બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીનો ખેસ મૂકી તમારી સાથે આંદોલનમાં જોડાઈશ.
આપ નેતાએ ભરી સભામાં ઘનશ્યામભાઈના હત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોાનો અને 92 લોકો પર ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતા પોલીસને ચેતવણીના સુરમાં કહ્યું કે, હવે હું જસદર વિંછીયા આવી ગયો છું.
હું જસદણની જનતાને કહેવા માંગુ છું કે, સાચા અને ખોટાની ઓળખ કરવાનો સમય આવી ગયો છે. તમારા બાળકોના ભવિષ્ય અને ખેડૂતોના હક્ક માટે સાચા-ખોટા નેતાઓને ઓળખી જાવ
ભલામાણા કુતરુ મારું મોઢું ચાટી જાય,તો હું કાંઈ કુતરા નું મોઢું ચાટવા માટે ન જાવ: બાવળિયા
બ્રિજરાજ સોલંકીને જવાબ આપતા કુંવરજી બાવળિયાએ પણ શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, કૂતરું મારું મોઢું ચાટી જાય તો હું કાંઈ કૂતરાનું મોઢું ચાટવા ન જાવ.