Rajkot: રાજકોટ શહેરમાં આવેલી બી.એ. ડાંગર હોમિયોપેથિક મેડિકલ કૉલેજમાં ( BA Dangar Homeopathic Medical College) અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ઝેરી દવાનું ઈન્જેક્શન લગાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતક વિદ્યાર્થીના પિતાએ કૉલેજના સંચાલકો સામે સનસનીખેજ આક્ષેપ કર્યાં છે. જો કે કૉલેજ દ્વારા તમામ આરોપોને રદિયો આફવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જૂની બારકોટડી ગામમાં રહેતો ધર્મેશ કળસરિયા રાજકોટ સ્થિત બી.એ. ડાંગર હોમિયોપેથિક કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ધર્મેશ પરીક્ષામાં નાપાસ થયો હોવાથી તે ફરીથી પૂરક પરીક્ષા આપવા પહોંચ્યો હતો, પરંતુ પેપરના 45 મિનિટ પહેલા જ તેને પરીક્ષા કેન્દ્રમાંથી તગેડી મૂકવામાં આવ્યો હતો. આ બાબતનું મનમાં લાગી આવતા ધર્મેશે આપઘાત કર્યો હોવાનો તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
ડાંગર કૉલેજના ટ્રસ્ટી અને સંચાલકોને કડક સજા કરવામાં આવે
આ મામલે ધર્મેશના પિતાએ જણાવ્યું કે, મારા પુત્રને વારંવાર ATKT આવતી હોવાથી કોલેજ દ્વારા પાસ કરાવવા માટે 10 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. આથી મારા પુત્રએ 7 હજાર રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ બાકીના 3 હજાર રૂપિયા નહતા આપ્યા. જેના કારણે મારા દીકરાને નાપાસ કરવામાં આવતા તેણે જીવન ટૂંકાવ્યું છે. આથી ડાંગર કોલેજના ટ્રસ્ટી સહિતના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.
ધર્મેશ પૂરક પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો હતો: કૉલેજ
બીજી તરફ સ્કૂલ સત્તાધીશો દ્વારા મૃતક વિદ્યાર્થીના તમામ આરોપોને ફગાવતા જણાવ્યું કે, ધર્મેશે અમારી કોલેજમાં એડમિશન લીધુ હતુ, પરંતુ પ્રથમ વર્ષમાં અને બીજા વર્ષમાં તે નાપાસ થતો હતો.
ધર્મેશ 19 ઓગસ્ટથી શરૂ થયેલી પૂરક પરીક્ષા આપી રહ્યો હતો. જેમાં 23 ઓગસ્ટના રોજ પેપર આપતી વખતે ધર્મેશ ચોરી કરતાં પકડાઈ ગયો હતો. આથી સુપરવાઈઝરે ધર્મેશને થોડા સમય માટે બેસાડી રાખ્યો હતો અને પાછળથી પેપર લખવાની છૂટ પણ આપી હતી. જો કે બીજા દિવસથી ધર્મેશે એક પણ પેપર આપ્યા નહતા.