Porbandar News: 79માં સ્વાતંત્ર્ય પર્વની પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યમંત્રીએ તિરંગાને સલામી આપી, અશ્વ શો સહિતના દિલધડક દ્રશ્યો નિહાળી લોકો રોમાંચિત થયા

ગ્રામ પંચાયતોના વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જાહેરાત કરાઈ છે, જેમાં 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 15 Aug 2025 05:07 PM (IST)Updated: Fri 15 Aug 2025 05:07 PM (IST)
gujarat-celebrates-79th-independence-day-in-porbandar-with-cm-bhupendra-patel-585919

Porbandar News: પોરબંદરમાં 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થઈ. મુખ્યમંત્રીએ તિરંગાને સલામી આપી અને પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું. વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા સરકારે એજન્ડા ફોર 2035 જાહેર કર્યો છે. ગ્રામ પંચાયતોના વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જાહેરાત કરાઈ છે, જેમાં 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાના નગરોના આયોજનબદ્ધ વિકાસ માટે 100 ટાઉન પ્લાનિંગ સ્કીમ બનશે. કાર્યક્રમમાં ગુજરાત પોલીસના જવાનોએ અશ્વ શો અને બાઈક શો રજૂ કર્યા હતા. દિલધડક દ્રશ્યો નિહાળી લોકો રોમાંચિત થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 79મા સ્વાતંત્ર્ય પર્વે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ 1960માં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યારથી શરૂ થયેલી વિકાસયાત્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 21મી સદીમાં નવી દિશા, નવી ઉર્જા અને વેગ મળ્યા છે, તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્યના નાગરિકોને 79મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતા જાહેર કર્યું કે, વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થાય છે, ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને વધુ લોકાભિમુખ વહીવટના નવા આયામો સિદ્ધ કરવા ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે ‘એજન્ડા ફોર 2035’ સરકાર લાવી રહી છે.

વડાપ્રધાનએ આપેલ ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યના આધારે ‘વિકસિત ગુજરાત 2047’ના વિઝનને સાકાર કરવા માટે આ ‘એજન્ડા 2035’ હોલ ઓફ ગવર્મેન્ટના અભિગમ સાથે દિશાસૂચક બનશે એમ પણ તેમણે સ્વતંત્રતા દિવસ અવસરે નાગરિક સંબોધનમાં ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ આ ‘એજન્ડા 2035’ના ફ્રેમવર્કમાં રાજ્ય વ્યાપી આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવી, નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ કરવા ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકો સિસ્ટમ અને નવી ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા સહિતના પાસાઓને આવરી લેવાની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ કેન્દ્રીય શ્રમ–રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયા, ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડની રાષ્ટ્રગીત સુરાવલી અને પરેડ સાથે આ ધ્વજવંદના કરાવી હતી. તેમણે આ અવસરે પોરબંદરને આંગણેથી રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમયબદ્ધ શહેરી વિકાસ આયોજનની મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી.

મુખ્યમંત્રીએ શહેરોની સાથે ગામોના પણ વેલ પ્લાન્ડ ડેવલપમેન્ટ માટે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ જાહેર કરતા જણાવ્યું કે જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ ઉપર વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 100 કરોડની ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ લાવ્યા છીએ. મોટા ગામડાઓ શહેરોનો વિકલ્પ બને અને નાગરિકો શહેરો તરફથી આવા મોટા ગામો તરફ આવવા પ્રેરાય તેવો આ યોજનાઓનો હેતુ છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ આ નવી યોજનામાં ખાસ કરીને માળખાગત સુવિધાઓને લગતા કામો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર સ્ટ્રીટ લાઈટ તથા આરોગ્ય સુખાકારી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કામો સમાવિષ્ટ કરાશે તેમ જણાવ્યું હતું.

રાજ્યમાં આ વર્ષે ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ દરમિયાન નાના નગરોના સુઆયોજિત વિકાસ માટે 100થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ અને એક લાખ સુધીની વસ્તી ધરાવતા 55 નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની જાહેરાત મુખ્યમંત્રીએ આ તકે કરી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે શહેરો હોય કે ગ્રામીણ વિસ્તાર, દરેક સુધી વિકાસ પહોંચે તેવી હોલીસ્ટિક ડેવલપમેન્ટની નેમથી સરકાર કાર્યરત છે. આ સંદર્ભમાં તેમણે ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસ અને જનહિત યોજનાઓની સિદ્ધિઓની વિશદ છણાવટ કરી હતી.

ગુજરાત આજે નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ NSDPમાં વ્યક્તિ દીઠ રૂપિયા 1.96 લાખ સાથે દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ માટે સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા, ઉપયોગ કરવાની ભારપૂર્વક હિમાયત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે આપેલા કોલને સાકાર કરવા દરેક ક્ષેત્રે નિર્ભરતાથી પ્રભુત્વ તરફ આગળ વધી આત્મનિર્ભર થવા તેમણે આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનના દિશાદર્શનમાં ટીમ ગુજરાતે પણ વંચિત, ગરીબ, છેવાડાના અને અંત્યોદયને કેન્દ્રમાં રાખીને જ આવાસ, આહાર, આરોગ્ય, અભ્યાસ અને આર્થિક ઉન્નતિ માટેની અનેક યોજનાઓનું સફળ અમલીકરણ કર્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી અને ગ્રામીણ મળીને 11 લાખ આવાસ, 2.90 કરોડ લોકોને આયુષ્માન આરોગ્ય કાર્ડ, 3 કરોડ 26 લાખ અંત્યોદય લોકોને વિનામૂલ્યે અનાજ જેવી સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે ઉમેર્યું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે બનેલી યોજનાઓનો લાભ 100 ટકા તેમને મળે તે માટે સેચ્યુરેશન અપ્રોચ અને જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા છે. આદિવાસીઓના સર્વગ્રાહી ઉત્કર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજના - 2માં આ વર્ષે 30,121 કરોડની માતબર ફાળવણી કરી છે. અત્યાર સુધીમાં આદિજાતિના બાળકોના શિક્ષણ માટે 4300 કરોડથી વધુની શિષ્યવૃતિ સહાય આપી છે. તેની વિગતો તેમણે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષના સંદર્ભમાં આપી હતી.

ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ ‘ગ્યાન’ આધારિત ચાર સ્તંભોના સશક્તિકરણના અનેક આયામો રાજ્ય સરકારે ઉપાડ્યા છે. યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત કરી રહ્યા છીએ. પાંચ લાખ લખપતિ દીદી અને મહિલા સંચાલિત દૂધ મંડળીઓમાં 21 ટકા મહિલા ભાગીદારીએ નારીશક્તિને સશક્ત કરી છે. અન્નદાતાના હિતોને પણ અગ્રતા આપીને બીજથી બજાર સુધી સરકાર તેની પડખે ઊભી છે. માછીમાર ભાઈઓને ડીઝલ વેટની રાહત સહાય ડીબીટીથી ચૂકવવામાં આવે છે તેની વિગતો તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે 12 ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’, ડીસાથી પીપાવાવ ‘નમો શક્તિ એક્સપ્રેસ વે’ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવવાના આયોજનની વાતો વર્ણવી હતી. તેમણે ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર ચમકાવનારી વાઇબ્રન્ટ સમિટ ની ઉત્તરોતર સફળતાને પગલે હવે રાજ્ય સરકાર રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાની છે તેની ભૂમિકા આપતા કહ્યું કે આવનારા સમયમાં રાજ્યના મહાનગરોમાં વિશ્વ કક્ષાની રમતનું આયોજન થવાનું છે તે માટે વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહ્યા છીએ.

મુખ્યમંત્રીએ રાજ્યમાં સુરક્ષા–સલામતી, આરોગ્ય સુખાકારી, બાળકોને પૌષ્ટિક પુરક આહાર માટેની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની સફળતાઓ પણ પ્રસ્તુત કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2047માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવાય તે પહેલા 2035માં રાજ્યના 75 વર્ષની ઉજવણી માટેનો અવસર આપણને મળવાનો છે. વિકસિત ભારત – 2047 માટે વિકસિત ગુજરાત – 2047 અને ગુજરાત@75 માં ગુજરાતને દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ નવી વૈશ્વિક ઊંચાઈઓ પાર કરાવવાનો સહિયારો સંકલ્પ 79મા સ્વતંત્રતા પર્વે લેવાનો પણ તેમણે રાજ્યના પ્રજાજનોને કોલ આપ્યો હતો.

સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના પ્રારંભે મુખ્યમંત્રીનું આગમન થતા મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડીયમ તરફ દોરી ગયા હતા. રાષ્ટ્રીય પર્વની આ શાનદાર ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પોલીસ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસના જવાનો દ્વારા અશ્વ શો, બાઈક સ્ટંટ શો અને ડોગ શો સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતા. જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. પરેડમાં મહારાષ્ટ્ર પોલીસ સહિત 19 પ્લાટુનના કુલ 685 કર્મચારી - જવાનોએ ભાગ લીધો હતો.

સંબોધન બાદ મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનારા કલાકારો, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીએ કાર્યક્રમના અંતે ફોટો પડાવી ઉત્સાહવર્ધન કર્યું હતું. કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ 2.0’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રમેશભાઈ ઓઝાએ માધવાણી કોલેજના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.