Botad: બોટાદ પી.બી.એસ.સી. સેન્ટરે અરજદારના ડોક્યુમેન્ટ પરત અપાવ્યા, સેન્ટરના કાઉન્સેલરની સમજાવટ બાદ સમાધાન

સમાધાનનું સરનામું એટલે બોટાદનું પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર. તાજેતરમાં પી.બી.એસ.સી. સેન્ટર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 19 Nov 2024 03:01 PM (IST)Updated: Tue 19 Nov 2024 03:01 PM (IST)
botad-news-botad-pbsc-center-returned-applicants-documents-settlement-after-persuasion-of-centers-counsellor-430900

Botad News: જ્યાં સખીની જેમ સથવારો, પરિવારના મોભીને જેમ માર્ગદર્શન અને મિત્રની જેમ હૂંફ મળે છે. મહિલાઓને સતાવતી દરેક સમસ્યાના સમાધાનનું સરનામું એટલે બોટાદનું પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર. તાજેતરમાં પી.બી.એસ.સી. સેન્ટર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

વાત એમ છે કે, બોટાદ પી.બી.એસ.સી. સેન્ટરમાં અરજી આવી હતી. જેમાં અરજદારના દીકરીનું 10 વર્ષ અગાઉ નિધન થયું હતું. ત્યારબાદ તેમની દોહિત્રીની તમામ જવાબદારી અરજદારે સ્વીકારી હતી, કેમકે અરજદારના જમાઈ દીકરીનું પાલન-પોષણ કરવા માટે અસર્મથ હતા. બીજી તરફ જમાઈએ દીકરીના તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ પોતાની પાસે રાખી લીધા હતા અને પરત આપતાં ન હતા અને દોહિત્રીને ભણવા બેસાડવા તેનો જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ અને તેની માતાનો મરણનો દાખલો શાળામાં આપવાનો હોવાથી બોટાદ પી.બી.એસ.સી. સેન્ટરનો સંપર્ક સાધી તેમની સમસ્યા જણાવી હતી.

પી.બી.એસ.સી. બોટાદ ખાતે મહિલાઓને મદદ કરવા હંમેશા તત્પર રહેતા કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણાએ કાઉન્સેલિંગ દ્વારા કાયદાકીય માર્ગદર્શન સાથે તમામ ડોક્યુમેન્ટ પરત અપાવ્યા હતા. સાથે દીકરીને જે શાળામાં મુકવાની છે તેની તમામ વિગત લઈ કન્યા કેળવણી, સ્કોલરશીપ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જે બદલ અરજદારે પી.બી.એસ.સીનો આભાર માન્યો હતો.

બોટાદ જિલ્લા બાળ અધિકારીની કચેરી દ્વારા બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પી.બી.એસ.સી. કાર્યરત છે. પી.બી.એસ.સી. બોટાદ ખાતે કાર્યશીલ ખૂબ જ ઉત્સાહી અને મહિલાઓને મદદ કરવા હંમેશા તત્પર રહેતા કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણાને મિત્રતાપૂર્ણ વાતાવરણમાં મહિલાઓ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર રજૂઆત કરી શકે છે.
અહીં અનેક મહિલાઓ પારિવારીક સમસ્યાઓ, કૌટુંબિક ઝઘડાઓ, અન્ય વ્યક્તિઓ દ્વારા કરાતી પજવણીના પ્રશ્નો લઈને આવે છે, આ મહિલાઓ જ્યારે પરત ફરે છે ત્યારે તેમને સમસ્યાના સમાધાનનો પૂર્ણ સંતોષ હોય છે.