Anand News: બોરસદ તાલુકાના દહેવાણ ગામના છીણાપુરા સીમ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વીરસદ પોલીસ પહોંચી હતી. યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. પત્ની સાથે આડા સંબંધના વહેમમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર બોરસદ તાલુકાના દહેવાણ ગામના છીણાપુરા સીમમાંથી હત્યા કરેયાલો એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસ તપાસ કરતા મૃતક યુવક નરેન્દ્રસિંહ રતનસિંહ ઝાલા જુના બદલપુર ગામનો રહેવાસી હતો તેમ જાણવા મળ્યું હતું. જેથી તપાસ હાથ ધરતા મૃતક યુવકને કંકાપુરાની એક પરિણીત મહિલા સાથે પરિચયમાં હોવાનું સામે આવ્યું હતું. તેથી તેની હત્યા આડા સંબંધના કારણે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસે આરોપી ધીરુ છત્રસિંહ પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, મૃતક નરેન્દ્રસિંહ કંકાપુરા તેના ઘરે આવ્યો ત્યારે જ તેની હત્યા કરી નાંખી હતી અને તેના મૃતદેહને દહેવાણ ગામના છીણાપુરા સીમમાં ફેંકીને ફરાર થઇ ગયો હતો. બનાવના પગલે મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.