Gujarat Local Body Elections: આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે મોટી જાહેરાત કરી છે. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ સંયુક્ત રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે ઉમેદવારી પત્ર જાહેર કર્યું હતું.
આ મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરતા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે દસ વર્ષથી દિવસ રાત મહેનત કરીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આજે એક વિકલ્પ બનીને ઉભરી છે. ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે છતાં પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો, શ્રમિકો, યુવાનો, કર્મચારીઓ, મહિલાઓ અને વ્યાપારીઓ સહિત દરેક વર્ગ ભાજપના શાસનથી પરેશાન છે. એવા સમયમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક વિકલ્પ બનીને ઊભરી છે. ગુજરાત જોડો સદસ્યતા અભિયાનને સમગ્ર રાજ્યમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ગુજરાત જોડો જનસભાઓમાં સામાજિક આગેવાનો, ખેડૂત આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકો AAP સાથે જોડાઈ રહ્યા છે. AAPનું માનવું છે કે આ ગુજરાત જોડો અભિયાનથી ગુજરાતમાં એક નવી રાજકીય લહેર ઊભી થઈ છે અને લોકો બદલાવ માટે આતુર છે.
આજે હવે મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. લગભગ ત્રણ મહિના બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થશે અને આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની 10000થી વધુ સીટો પર ચૂંટણી લડશે. ગુજરાતમાં બદલાવ લાવવા માટે તત્પર તથા ભાજપના ભ્રષ્ટ શાસનમાંથી ગુજરાતને મુક્ત કરાવવા માગતા તમામ લોકોને અમે ચૂંટણી લડવા માટે આમંત્રણ આપી રહ્યા છીએ. ગુજરાતના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, ખેડૂત આગેવાનો, યુવાનો, વેપારીઓને અમે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડીને નેતૃત્વ કરવાની તક આપી રહ્યા છીએ.
આજે અમે આમ આદમી પાર્ટીનું ઉમેદવારી પત્ર જાહેર કરી રહ્યા છીએ. જે પણ લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા હોય તે તમામ લોકોએ આ ફોર્મ ભરવું પડશે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ ફોર્મ લોકો સુધી પહોંચાડવામાં આવશે. જે પણ લોકો ચૂંટણી લડવા માંગતા હોય તે લોકો આ ફોર્મ ભરીને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખો, વિધાનસભા ઇન્ચાર્જ, લોકસભા પ્રમુખની સાથે સાથે ઈમેલ કરીને પણ આમ આદમી પાર્ટીને મોકલી શકે છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પણ આ ફોર્મ સ્વીકારવામાં આવશે. સાથે સાથે whatsapp નંબર જાહેર કરવામાં આવશે અને તે નંબર પર પણ આ ફોર્મ સ્વીકારવામાં આવશે.
આ માધ્યમથી જેટલા પણ ફોર્મ આવશે તેમાંથી સ્ક્રુટિની કરવામાં આવશે અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ગુજરાતની જનતા માટે જે લોકો લાયક હશે અને વધુમાં વધુ સારામાં સારું કામ કરી શકે તેવા લોકોને આમ આદમી પાર્ટી તક આપશે. ગુજરાતની જનતાને ફરીથી અમે આમંત્રણ આપવા માંગીશું કે તમે આગળ આવો આપણે સાથે મળીને ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત, ભાજપની તાનાશાહી મુક્ત બનાવીને ગુજરાતમાં સાચા અર્થમાં ટકાઉ વિકાસ કરીએ.