Rajnath Singh: જો કોઈ અમને પડકારશે તો... જાણો રક્ષામંત્રી રાજનાથ સિંહે ભવિષ્યના યુદ્ધ અને ભારતની રણનીતિ પર શું કહ્યું

રાજનાથ સિંહે જણાવ્યું કે ભવિષ્યના યુદ્ધો માત્ર શસ્ત્રોની લડાઈ નહીં હોય, તે ટેકનોલોજી, ગુપ્તચર, અર્થતંત્ર અને રાજદ્વારીનું સંયુક્ત સ્વરૂપ હશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 27 Aug 2025 11:43 AM (IST)Updated: Wed 27 Aug 2025 11:44 AM (IST)
rajnath-singh-in-ran-samwad-2025-programme-attack-on-pakistan-know-details-592483

Rajnath Singh News: મધ્યપ્રદેશના મહુમાં યોજાયેલા રણ-સંવાદ 2025 કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે ભવિષ્યમાં યુદ્ધ લડવાની રીતો પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત ક્યારેય પહેલા હુમલો કરશે નહીં, પરંતુ જો કોઈ તેને પડકારશે તો તે પૂરી શક્તિ અને તાકાતથી જવાબ આપશે.

રક્ષા મંત્રીએ 'રણ સંવાદ' શીર્ષકને રસપ્રદ ગણાવતા કહ્યું કે, 'રણ' યુદ્ધ સૂચવે છે અને 'સંવાદ' સમાધાન, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં આ બંને અભિન્ન છે. તેમણે મહાભારતનું ઉદાહરણ આપ્યું જ્યાં ભગવાન કૃષ્ણ યુદ્ધ ટાળવા માટે સંવાદ કરવા ગયા હતા. આ દર્શાવે છે કે સંવાદ યુદ્ધ પહેલા દરમિયાન અને પછી પણ ચાલુ રહે છે.

કેવા હશે ભવિષ્યના યુદ્ધો

રાજનાથ સિંહે જણાવ્યું કે ભવિષ્યના યુદ્ધો માત્ર શસ્ત્રોની લડાઈ નહીં હોય, તે ટેકનોલોજી, ગુપ્તચર, અર્થતંત્ર અને રાજદ્વારીનું સંયુક્ત સ્વરૂપ હશે. તેમણે ઉમેર્યું કે, સાયબર યુદ્ધ, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), માનવરહિત હવાઈ વાહનો અને ઉપગ્રહ-આધારિત દેખરેખ ભવિષ્યના યુદ્ધોને આકાર આપી રહ્યા છે. આધુનિક યુદ્ધો હવે જમીન, સમુદ્ર અને હવા ઉપરાંત અવકાશ અને સાયબરસ્પેસ સુધી પણ વિસ્તર્યા છે.

ભારત યુદ્ધ ઈચ્છતો દેશ નથી - રક્ષામંત્રી

તેમણે ફરીથી ભારપૂર્વક કહ્યું કે, ભારત યુદ્ધ ઈચ્છતો દેશ નથી અને તેણે ક્યારેય કોઈના પર આક્રમણ કર્યું નથી. જોકે, વર્તમાન ભૌગોલિક-રાજકીય વાસ્તવિકતામાં, જો કોઈ ભારતને પડકારશે તો તેને સંપૂર્ણ તાકાતથી જવાબ આપવો જરૂરી છે. આ માટે સંરક્ષણ તૈયારીઓ, તાલીમ, તકનીકી ઉન્નતિ અને ભાગીદારો સાથે સતત સંવાદ મહત્વપૂર્ણ છે.