White Hair Remedy: આજના સમયમાં નાની વયે વાળ સફેદ થવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેનું મુખ્ય કારણ ખાણી-પીણીની ખોટી આદતો, પોષણની ઉણપ અને માનસિક તણાવ માનવામાં આવે છે. યુવાન વયે પોતાના માથામાં સફેદ વાળ દેખાતા ચિંતિત બનેલા મોટાભાગના લોકો મહેંદી કે ડાઈને ઉપયોગ કરતાં હોય છે. જો કે તેમાં રહેલા કેમિકલ્સ તમારા વાળ તો થોડા સમય માટે કાળા કરી નાંખે છે, પરંતુ બીજી અનેક ગંભીર સમસ્યા તમને ભેટમાં આપે છે. એવામાં આયુર્વેદિક નિષ્ણાંત નિત્યાનંદમ શ્રીએ એક એવો કુદરતી નુસખો જણાવ્યો છે, જેની મદદથી તમે મહેંદી કે ડાઈ વિના પણ તમારા વાળ મજબૂત અને કાળા કરી શકો છો.
આ મામલે નિત્યાનંદમ સ્રીએ પોતાની યુ-ટ્યૂબ ચેનલમાં એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આજથી 16 વર્ષ પહેલા મારા પણ 20 ટકા વાળ સફેદ થઈ ગયા હતા. જેથી મેં પણ બીજા લોકોની માફક મહેંદીથી સફેદ વાળને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમસ્યાનું કાયમી નિરાકરણ નહતુ. આખરે મેં કેટલાક આયુર્વેદિક નુસખા અજમાવ્યા અને 2 વર્ષમાં જ મારા તમામ વાળ સફેદ થઈ ગયા.
આયુર્વેદિક નુસખો અને પરેજી
નિત્યાનંદમ શ્રીએ જણાવ્યું કે, સૌ પ્રથમ મેં કાચા આમળા ખાવાનું શરૂ કર્યું. આ માટે ક્યારેક હું આમળાના કટકા કરીને મધમાં મિક્સ કરી તડકામાં રાખતો અને પછી ખાતો હતો. જ્યારે કેટલીક વખત આમળાની કેન્ડી કે ચટણી ખાતો હતો. આ સાથે જ મેં આમળાનું ઘરગથ્થુ તેલ બનાવ્યું હતુ. જેને અઠવાડિયામાં 2-3 વખત માથામાં લગાવતો હતો. સતત આમળાનો ઉપયોગ કરવાથી થોડા દિવસમાં જ પરિણામ જોવા મળ્યું હતુ.
આ સાથે જ મેં ગાયનું ઘી અને ગાજરને મારી ડાયટમાં સામેલ કર્યાં. આ બન્ને વસ્તુઓ વાળને અંદરથી પોષણ આપવાનું કામ કરે છે. આ સિવાય હું શેમ્પુની જગ્યાએ અરીઠા અને શિકાકાઈના પાણીથી વાળ ધોતો હતો. જ્યારે કંડિશનિંગની જગ્યાએ દહી, એલોવેરા જેલ, મધ અને તલનું તેલ માથામાં લગાવતો હતો. આ ઉપરાંત મેં ભૃંગરાજનો રસ અને ચુરણ પણ અપનાવી જોયું, જે વાળ માટે ખૂબ જ ફાયદેમંદ છે.
માત્ર આ સરળ ઉપાયો અજમાવીને મેં કોઈ પણ આડઅસર વિના મારા વાળને માત્ર સફેદ થતાં જ નથી રોક્યા, પરંતુ આ નુસખાથી વાળની ચમક પણ વધી ગઈ હતી. આવા કુદરતી ઉપાયો અપનાવી અને સંતુલિત ડાયટ લેવાથી સફેદ વાળ ધીમે-ધીમે કાળા થવા લાગે છે અને વાળ સિલ્કી અને મજબૂત બને છે.