Ambaji Bhadarvi Poonam 2025: ભાદરવી પૂનમના મેળાના એક દિવસ પહેલા એક લાખથી વધુ ભક્તો ઉમટ્યા, 1થી 4 તારીખ સુધી વરસાદની આગાહી

રવિવારે આખું અંબાજી જાણે કે ભાદરવી મેળાના રંગમાં રંગાઈ ગયું હતું. રાત્રે ચારેબાજુ રોશની ઝળહળી રહી હતી, અને મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 01 Sep 2025 09:07 AM (IST)Updated: Mon 01 Sep 2025 09:11 AM (IST)
over-1-lakh-devotees-gather-ahead-of-bhadravi-poonam-fair-2025-rain-forecast-sept-1-4-595208
HIGHLIGHTS
  • રવિવારે મેળાની વહેલી શરૂઆત થતાં જ અંબાજીના રસ્તાઓ પર ભક્તો અને વાહનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
  • રવિવારે વાહનો પર કોઈ પ્રતિબંધ ન હોવા છતાં, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

Ambaji Bhadarvi Poonam 2025: અંબાજી ખાતે સોમવારે ભાદરવી મેળાનો વિધિવત પ્રારંભ થવાનો હતો, પરંતુ ભક્તોનો ઉત્સાહ એટલો પ્રબળ હતો કે મેળાની શરૂઆત એક દિવસ વહેલા જ થઈ હોય તેવું લાગી રહ્યું હતું. રવિવારે આખું અંબાજી જાણે કે ભાદરવી મેળાના રંગમાં રંગાઈ ગયું હતું. રાત્રે ચારેબાજુ રોશની ઝળહળી રહી હતી, અને મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. ખાસ કરીને ચાચર ચોક તો સેલ્ફી લેવા માટેનું મુખ્ય કેન્દ્ર બની ગયો હતો. ભક્તોની આ ભીડને ધ્યાનમાં રાખીને, મંદિર ટ્રસ્ટને મેળાની શરૂઆત પહેલાં જ યજ્ઞશાળા પાસે વધારાના પ્રસાદ કેન્દ્રો ખોલવા પડ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના વ્યાસવાડી સંઘે પણ એક દિવસ અગાઉ ધ્વજા રોહણ કરીને વાતાવરણમાં ઉત્સાહનો ઉમેરો કર્યો હતો. જેથી મેળાની રોનક સમય કરતાં વહેલી જ છવાઈ ગઈ.

રવિવારે મેળાની વહેલી શરૂઆત થતાં જ અંબાજીના રસ્તાઓ પર ભક્તો અને વાહનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને મેળા દરમિયાન વાહનો પર પ્રતિબંધ હોવાથી, ઘણા ભક્તોએ એક દિવસ વહેલા દર્શન કરીને પરત ફરવાનું પસંદ કર્યું હતું. જેના કારણે રવિવારે વાહનો પર કોઈ પ્રતિબંધ ન હોવા છતાં, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે પોલીસ જવાનોએ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ ભીડનું એક મુખ્ય કારણ એ પણ હતું કે શનિવારે 88,000 પ્રસાદના પેકેટ્સનું વિતરણ થયું હતું. જ્યારે રવિવારે આ આંકડો વધીને 139000 સુધી પહોંચ્યો હતો. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભક્તોની સંખ્યામાં કેટલો મોટો વધારો થયો હતો.

હવામાન વિભાગના અનુમાન મુજબ, આ વર્ષે ભાદરવી મેળા દરમિયાન અંબાજીમાં ગરમીને બદલે વરસાદી વાતાવરણ રહેશે. 1થી 7 સપ્ટેમ્બર સુધીના આ સપ્તાહમાં દિવસનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને રાત્રિનું તાપમાન 24થી 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. અંબાજીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, ખાસ કરીને 1, 4 અને 7 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધુ રહી શકે છે. આ વરસાદની અસર પદયાત્રીઓના રૂટ પર પણ જોવા મળશે. સાબરકાંઠા થઈને આવતા પદયાત્રીઓને 10 મીમીથી લઈને 3 ઇંચ સુધીના વરસાદનો સામનો કરવો પડી શકે છે. જ્યારે મહેસાણાના રૂટ પર આવતા યાત્રાળુઓને દોઢ ઇંચ સુધીના વરસાદ વચ્ચે તેમની યાત્રા ચાલુ રાખવી પડી શકે છે. યાત્રાળુઓએ આ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારીઓ કરવી હિતાવહ છે.