Uttarakhand Flood: IIT ગાંધીનગરે વારંવાર થતાં ફ્લેશ ફ્લડના કારણો અને હોટસ્પોટની કરી ઓળખ, સંસોધનમાં જણાવ્યા કારણો

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ફ્લેશ ફ્લડ એ એક સ્થાનિક ઘટના છે જે સામાન્ય રીતે વરસાદ શરૂ થયા બાદ છ કલાકથી પણ ઓછા સમયમાં પૂરનું સ્વરૂપ ધારણ કરી લે છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 08 Aug 2025 08:37 AM (IST)Updated: Fri 08 Aug 2025 08:37 AM (IST)
iit-gandhinagar-identifies-causes-and-hotspots-of-recurring-flash-floods-reasons-given-in-research-581316
HIGHLIGHTS
  • આ અભ્યાસમાં 1981થી 2020 સુધીના IMDના ડેટા અને વૈશ્વિક ડેટાબેઝ (EM-DAT)નું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
  • અભ્યાસ મુજબ, હિમાલય ક્ષેત્રમાં ફ્લેશ ફ્લડ મુખ્યત્વે જમીનની રચના જેવા ભૂ-આકારશાસ્ત્ર લક્ષણોથી પ્રભાવિત થાય છે.

Gandhinagar News: IIT ગાંધીનગરના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં સમગ્ર દેશમાં ફ્લેશ ફ્લડના નવા જોખમો અને હોટસ્પોટની ઓળખ કરવામાં આવી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં લગભગ 75% ફ્લેશ ફ્લડ એવા વિસ્તારોમાં થાય છે જ્યાં અતિશય અને સતત વરસાદને કારણે જમીન પહેલેથી જ ભેજવાળી હોય છે, જ્યારે બાકીના 25% કિસ્સાઓ ફક્ત ભારે વરસાદને કારણે થાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ફ્લેશ ફ્લડ એ એક સ્થાનિક ઘટના છે જે સામાન્ય રીતે વરસાદ શરૂ થયા બાદ છ કલાકથી પણ ઓછા સમયમાં પૂરનું સ્વરૂપ ધારણ કરી લે છે.

ક્લાયમેટ ચેન્જ અને સંશોધનના તારણો

'નેચરલ હેઝાર્ડ્સ' જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં 1981થી 2020 સુધીના IMDના ડેટા અને વૈશ્વિક ડેટાબેઝ (EM-DAT)નું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સંશોધકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે ક્લાયમેટ ચેન્જ (હવામાન પરિવર્તન)ને કારણે હિમાલય ક્ષેત્રમાં વાદળ ફાટવા, ભારે વરસાદ, અને હિમપ્રપાત જેવી ઘટનાઓની સંખ્યા અને તીવ્રતા બંને વધી રહી છે, જે ફ્લેશ ફ્લડનું જોખમ વધારે છે. આ સંશોધન એ પણ દર્શાવે છે કે સરકાર અને વહીવટીતંત્ર માટે સમયસર આગાહી અને આપત્તિ-વ્યવસ્થાપન વ્યૂહરચના તૈયાર કરવી અત્યંત આવશ્યક છે.

ભૂ-આકારશાસ્ત્ર અને જળશાસ્ત્રીય પરિબળોની અસર

આ અભ્યાસમાં ફ્લેશ ફ્લડની સંવેદનશીલતાને સમજવા માટે ભૂ-આકારશાસ્ત્ર અને જળશાસ્ત્રીય પરિબળોના સંયોજન પર ભાર મૂકવામાં આવ્યો છે. અભ્યાસ મુજબ, હિમાલય ક્ષેત્રમાં ફ્લેશ ફ્લડ મુખ્યત્વે જમીનની રચના જેવા ભૂ-આકારશાસ્ત્ર લક્ષણોથી પ્રભાવિત થાય છે. જ્યારે પશ્ચિમ કિનારા અને મધ્ય ભારતમાં આ પૂર 'ફ્લેશનેસ ઇન્ડેક્સ' (પાણીના પ્રવાહની તીવ્રતા) જેવા જળશાસ્ત્રીય પરિબળોથી વધુ પ્રભાવિત થાય છે. આ સંશોધન સ્પષ્ટ કરે છે કે પૂરનું જોખમ બેસિનના કદ પર નહીં, પરંતુ આ પરિબળોના સંયુક્ત પ્રભાવ પર આધારિત છે.