Gandhinagar News: ગુજરાતમાં ખેડૂતો દ્વારા પૂરતી વીજળી મળી રહે એ માટે સતત માગ કરવામાં આવી રહી છે. રાજ્યમાં અનેક ગામોમાં ખેડૂતોને પૂરતો વીજ પૂરવઠો મળતો ન હોવાની પણ ફરિયાદો સામે આવે છે. ત્યારે ખેડૂતોની માગના આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં સિંચાઇ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પહેલા 8 કલાક વીજળી અપાતી હતી
આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે. આ પહેલા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી. જોકે ખેડૂતો દ્વારા વીજળી આપવાના કલાકોમાં વધારો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં 10 કલાક વીજળી આપવાની શરૂઆત
મગફળીનું વાવેતર જે વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. ત્યા વધુ વીજ પૂરવઠો આપવામાં આવે તેવી માગ ઉઠી હતી. સરકારના આ નિર્ણયથી સૌરાષ્ટ્રમાં 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરાઈ છે. હાલ રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લા પૂરતો આ નિર્ણય કરવામાં આવ્યો છે.