Dahod: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલો અદલવાડા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમની જળસપાટી તેના ભયજનક સ્તરની નજીક પહોંચી ગઈ છે. હાલ જળસપાટી 236.90 મીટર છે, જે ભયજનક સ્તર 237.30 મીટરથી માત્ર 40 સેન્ટીમીટર દૂર છે.
નવ ગામોમાં એલર્ટ જાહેર કરાયું
ડેમમાં સતત પાણીની આવક થવાના કારણે ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકાના નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગામલોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને સાવચેતી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ
ડેમમાં પાણીની આવક થવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ડેમ છલકાવાથી ખેતી માટે પૂરતું પાણી મળશે, જેના કારણે આગામી પાક સારો થવાની આશા છે. વરસાદ અને ડેમની ભરાવટને કારણે આ વિસ્તારમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે.
કુદરતી સૌંદર્યનો નજારો
વરસાદ બાદ અદલવાડા ડેમ અને તેની આસપાસનો જંગલ વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ વિસ્તારના મનમોહક ડ્રોન વિડિયો સામે આવ્યા છે, જેમાં લીલીછમ પ્રકૃતિ અને વહેતા પાણીનો અદભુત નજારો જોવા મળે છે.