Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 14-08-2025ને ગુરુવારના રોજ રાંધણ છઠ્ઠના પવિત્ર દિવસે વિવિધ શાકભાજીનો શણગાર કરાયો છે. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રાવણ મહિનાના પવિત્ર રાંધણ છઠ્ઠના દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 1 હજાર કિલોથી વધુ વિવિધ શાકભાજીનો સિંહાસને શણગાર કરાયો છે. આ શાકભાજી વડોદરાના પાદરાથી ભક્તોએ મોકલ્યા છે. તો દાદાને શાકભાજીની થીમવાળા વિશેષ વાઘા પણ પહેરાવ્યા છે. આ વાઘા રાજકોટમાં એક ભક્તે એક અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે. આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. આ શાકભાજી ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરાશે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા.28-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે - સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ - ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રીકૃષ્ણ જન્મોત્સવ - દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે.