EPFO Hikes Death Relief Fund: ભારતમાં કામ કરતા લગભગ તમામ કર્મચારીઓ PF(પ્રોવિડન્ટ ફંડ) ખાતું ધરાવતા હોય છે. ભારતમાં PF ખાતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા ચલાવવામાં આવે છે. આ દરમિયાન સંસ્થાએ તેના સભ્યોના પરિવારોને મોટી રાહત આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
EPFOએ ડેથ રિલીફ ફંડ એટલે કે મૃત્યુ રાહત ભંડોળ હેઠળ સેન્ટ્રલ બોર્ડના કર્મચારીઓને આપવામાં આવતી એક્સ-ગ્રેશિયો અમાઉન્ટ લગભગ બમણી કરી દીધી છે.
પહેલા આ રકમ રૂપિયા 8.8 લાખ હતી. હવે તેને વધારીને રૂપિયા 15 લાખ કરવામાં આવી છે. આ નિર્ણય 1લી એપ્રિલ 2025થી અમલમાં આવ્યો છે. તેનો અર્થ એ થયો કે આ તારીખ પછી જો કોઈ સભ્યનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને રૂપિયા 8.8 લાખ રૂપિયાને બદલે રૂપિયા 15 લાખ મળશે.
આ નિર્ણયને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(Central Board of Trustees) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, નોકરીદાતાઓ અને કર્મચારીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
આગામી વર્ષથી 5 ટકાનો વધારો થશે
UPStoxમાં પ્રકાશિત માહિતી પ્રમાણે EPFO દ્વારા એ નિર્ણય પણ કરવામાં આવ્યો છે કે 1 એપ્રિલ, 2026થી આ એક્સ-ગ્રેશિયા રકમ વાર્ષિક 5 ટકા વધારવામાં આવશે. તેનો અર્થ એ છે કે આવનારા સમયમાં પરિવારોને વધુ નાણાકીય મદદ મળશે. EPFO એ 19મી ઓગસ્ટના રોજ જારી કરાયેલા પરિપત્રમાં કહ્યું છે કે એક્સ-ગ્રેશિયા રકમ રૂપિયા 8.80 લાખથી વધારીને રૂપિયા 15 લાખ કરવામાં આવી છે. રૂપિયા 15 લાખની આ રકમ સેન્ટ્રલ બોર્ડના મૃત કર્મચારીના પરિવારના સભ્યોને સ્ટાફ કલ્યાણ ભંડોળમાંથી આપવામાં આવશે.
EPFO એ અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા
ડેથ ક્લેમ સરળ બન્યો
જો કોઈ PF સભ્યનું મૃત્યુ થાય છે અને પૈસા સગીર બાળકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાના હોય છે તો હવે આ માટે વાલીપણું પ્રમાણપત્ર(Guardianship Certificate)ની જરૂર રહેશે નહીં. તેનો અર્થ એ થયો કે હવે સગીર બાળકો માટેના દાવાઓનું સમાધાન કરવું સરળ બન્યું છે.