Kevada Teej 2025 Date: સ્ત્રીઓના મુખ્ય તહેવારોમાંનો એક એવો કેવડા ત્રીજ (Kevada Teej 2025) નો પવિત્ર દિવસ ભાદરવા માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે કેવડા ત્રીજનો પવિત્ર તહેવાર 26 ઓગસ્ટ 2025, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે આ ત્રીજ હસ્ત નક્ષત્રયુક્ત હોય ત્યારે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત મુખ્યત્વે સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરવા માટેનું છે.
કેવડા ત્રીજ મહત્વ
કેવડા ત્રીજનું વ્રત પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના માટે રાખે છે, જ્યારે કુમારિકાઓ મનપસંદ અને સુયોગ્ય વર મેળવવા માટે આ વ્રત કરે છે. દેશભરમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિશેષ પૂજાનું મહત્વ છે. એવી માન્યતા છે કે સ્વયં માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પામવા માટે આ વ્રત કર્યું હતું.
કેવડા ત્રીજ વ્રતની વિધિ
કેવડા ત્રીજના વ્રતની વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે. વ્રતના એક દિવસ પહેલા, પરણિત સ્ત્રીઓ પોતાના હાથમાં મહેંદી મૂકે છે. આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાનાદિ ક્રિયાઓથી પરવારીને ભગવાન શિવની કેવડાના ફૂલોથી પૂજા કરવામાં આવે છે. ઘરને સુંદર રીતે શણગારવામાં આવે છે અને વ્રત કરનારી સ્ત્રીઓ આખો દિવસ 'નકોરડો ઉપવાસ' એટલે કે અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરીને નિર્જળા રહે છે. તેઓ વારંવાર કેવડાને સુંઘીને ભગવાન શિવનું સ્મરણ કરે છે.
આ પણ વાંચો
સાંજે, વિધિપૂર્વક શિવ-પાર્વતીની પૂજા-આરતી કરવામાં આવે છે અને કેવડા ત્રીજની વ્રત કથા સાંભળવામાં આવે છે. રાત્રિ દરમિયાન પણ વ્રતધારી પાણી પીતા નથી. સૂર્યોદય પછી વહેલી સવારે સ્નાન-પૂજા કરીને પારણા કરવામાં આવે છે અને ઉપવાસ તોડવામાં આવે છે. આ વ્રત દ્વારા સ્ત્રીઓ 'મારો પતિ દીર્ધાયુ બને' અને 'મારો સુહાગ અમર રહે' તેવી શિવને પ્રાર્થના કરે છે. કુંવારી છોકરીઓ પોતાના ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય તેવી કામના કરે છે.
કેવડા ત્રીજ વ્રત કથા
આ વ્રતનું વર્ણન ભવિષ્ય પુરાણના ઉત્તરભાગમાં શિવ-પાર્વતીના સંવાદના રૂપમાં જોવા મળે છે. કથા અનુસાર, એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના દેહની આહુતિ આપ્યા પછી જ્યારે તેમણે ફરી અવતાર ધારણ કર્યો, ત્યારે શિવજીને પામવા માટે તેમણે કયું વ્રત કર્યું હતું.
ભગવાન ભોળાનાથે ત્યારે કહ્યું કે, હે દેવી! બીજો અવતાર ધારણ કર્યા પછી તમે બાળપણથી જ મારું રટણ કરતા હતા. એકવાર નારદમુનિએ તમારા પિતા હિમાલય સમક્ષ મારી ખૂબ પ્રશંસા કરી હતી, જેનાથી તમે મનોમન ખૂબ ખુશ થયા હતા. પરંતુ જ્યારે નારદજીએ તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું સૂચવ્યું, ત્યારે તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા હતા.
તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનું વિચારી રહ્યા હતા, ત્યારે તમે ખૂબ મુંઝાયા હતા. આ મુંઝવણ દૂર કરવા તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા. વનમાં તમને માટીનો ઢગલો મળ્યો અને બાળકની જેમ તમે તેની સાથે રમવા લાગ્યા. તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું. ત્યારબાદ તમે વનમાંથી કેવડાના ફૂલો, અન્ય વનફૂલો અને વનસ્પતિ લાવીને મને ખૂબ ભાવપૂર્વક ચડાવ્યા. તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી, અને તમે આખો દિવસ કંઈ પણ ખાધા-પીધા વિના 'નકોરડો ઉપવાસ' કર્યો હતો, પાણી પણ નહોતું પીધું.
ભગવાન શિવ કહે છે કે આમ તો મને કેવડો નથી ચડતો, પરંતુ તમારા ભાવને કારણે તે દિવસે ચડાવેલો કેવડો મેં સ્વીકાર્યો હતો અને હું પ્રસન્ન થયો હતો. મેં તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે કહ્યું હતું કે, 'હે ભોળાનાથ! જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જ રટણ કરતી હોઉં તો તમે જ મારા પતિ બનો.' અને મેં તમને 'તથાસ્તુ' કહી દીધું હતું.
ભગવાન શિવે આગળ જણાવ્યું કે, તમે આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ થાકીને સૂઈ ગયા હતા. જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા અને જંગલમાં સૂતા જોઈને ખુશ થયા. તેમણે તમને પોતાની સાથે આવવા કહ્યું ત્યારે તમે સંકોચ વિના કહ્યું હતું કે તમે શુદ્ધ મનથી તેમને (શિવને) વરી ચૂક્યા છો. હે દેવી, તમે અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો. આ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા.
વ્રતનું ફળ ભગવાન શિવના કહેવા મુજબ, આમ તો તેમની પૂજા બિલિપત્રથી જ થાય છે, પરંતુ જે દિવસથી માતા પાર્વતીએ કેવડો ચડાવ્યો, ત્યારથી કેવડો પણ તેમને પ્રિય છે. ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે ભગવાન શિવની પૂજા કરશે, તેના બધા જ મનોરથ પૂર્ણ થશે. આ વ્રત ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક બની રહ્યું છે, જે સ્ત્રીઓને સુખમય દાંપત્ય જીવન અને ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે પ્રેરણા આપે છે.