Patola: સુરેન્દ્રનગરના વિઠ્ઠલભાઈ વાઘેલાએ પટોળા કલાને જીવંત રાખીને નવી ઊંચાઈએ પહોંચાડી, જાણો તેમના પરિશ્રમ વિશે

આજે સમગ્ર દેશમાં સુરેન્દ્રનગર જિલ્લાએ પટોળા ઉત્પાદન ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી હસ્તકલા ક્ષેત્રને નવી દિશા આપી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 06 Aug 2025 01:20 PM (IST)Updated: Wed 06 Aug 2025 01:20 PM (IST)
vitthalbhai-vaghela-of-surendranagar-kept-the-art-of-patola-alive-and-took-it-to-new-heights-580265

Surendranagar News: ''છેલા જી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો….'' જેવાં લોકગીતોમાં પ્રિયતમા પોતાના પ્રેમીને પાટણના પ્રખ્યાત પટોળા લાવવાનું કહે છે. આ લોકગીતના શબ્દો પટોળાની લોકપ્રિયતાના દર્શન કરાવે છે. પરંતુ હવે આ લોકગીતના શબ્દો માત્ર પાટણ પૂરતા સીમિત નથી રહ્યાં, આજે ઝાલાવાડના સોમાસર ગામના કલા કસબીઓ પોતાની આવડત અને પરિશ્રમ થકી હસ્તકલા ક્ષેત્રે નવી કેડી કંડારી પટોળા કલાને આગળ ધપાવી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેર થી ત્રીસેક કિલોમીટર દૂર મુળી તાલુકામાં આ સોમાસર ગામ આવેલું છે.

પટોળા કલાને આગળ ધપાવી

સોમાસર ગામમાં 60-70 જેટલા પરિવારો અને સુરેન્દ્રનગર જિલ્લામાં 4000 થી 4500 જેટલાં લોકો આ કલાને આગળ ધપાવી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં સુરેન્દ્રનગર જિલ્લાએ પટોળા ઉત્પાદન ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી હસ્તકલા ક્ષેત્રને નવી દિશા આપી છે. છેલ્લા 55 વર્ષથી પટોળા કલાના વાહક બનીને સોમાસર ગામના વિઠ્ઠલભાઈ વાઘેલા વર્ષો જૂની આ કલાને સાચવી રહ્યા છે. પટોળા શબ્દ સંસ્કૃતના ‘પટ્ટકુલ્લા’ શબ્દમાંથી આવ્યો છે, જેનો અર્થ રેશમી કાપડ એવો થાય છે.

વિઠ્ઠલભાઇએ આવી રીતે સફર શરુ કરી

27 ડિસેમ્બર 1949 ના રોજ સોમાસર ગામમાં જન્મેલા વિઠ્ઠલભાઈની પટોળા વણાટની સફર વર્ષ 1970 શરૂ થઈ હતી. લીંબડીની સર જે.હાઈસ્કૂલમાં સરકારી શિક્ષક તરીકે માત્ર બે મહિના જેટલી ટૂંકી સેવા બાદ તેમણે પૂર્વજોની આ કલાને પુનર્જીવિત કરવાનો નિર્ણય કર્યો હતો. નજીવી મૂડી, વીજળી, પાણી, કાચો માલ સહિતના મર્યાદિત સંસાધનો સાથે શરૂ થયેલી આ યાત્રાએ આજે વિશ્વફલક પર પટોળાને આગવી ઓળખ અપાવી છે. વિઠ્ઠલભાઈએ આ કલાને આગળ વધારવાના ઉદેશ્ય સાથે ગામ અને સ્નેહીજનોને તાલીમ આપી આજીવિકા માટેનું એક સાધન પૂરું પાડ્યું છે.

ધરોહરને આગળ ધપાવી

પટોળા કલાના ગૌરવ અને તેને ટકાવી રાખવા વિશેની વાત કરતા વિઠ્ઠલભાઈએ સહર્ષ જણાવ્યું હતું કે, પટોળાએ માત્ર કાપડ નથી. તે આપણી ધરોહર છે. તેનું જતન અને સંવર્ધન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આ કલાને જીવંત રાખવા અને તેને આગામી પેઢીઓ સુધી પહોંચાડવા માટે આપણે સતત પ્રયાસરત રહેવું અનિવાર્ય છે. નવી પેઢીને આ કલા પ્રત્યે આકર્ષિત કરવા, તાલીમ આપવા અને આર્થિક તથા સામાજિક સમર્થન પૂરું પાડવું એ આજનાં સમયની માંગ છે.

જુઓ વિઠ્ઠલભાઇએ શું કહ્યું

પટોળા બનાવવાની પ્રક્રિયા વિશેની વાત કરતા તેમણે ઉમેર્યું કે, પટોળા બનાવવા એ અત્યંત ઝીણવટભરી અને જટિલ પ્રક્રિયા છે. જેમાં દરેક તારને ગાંઠો બાંધીને રંગવામાં આવે છે અને પછી તેને ચોકસાઈપૂર્વક વણવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા જોનારાને મંત્રમુગ્ધ કરી દે છે. પટોળા બનાવવામાં મહિનાઓ લાગી શકે છે, અને દરેક તબક્કે કારીગરની નજર અને હાથની સચોટતા અનિવાર્ય છે. રેશમના દોરાઓ અને કુદરતી રંગોની અદભૂત કારીગરી આ કલાને અનન્ય બનાવે છે. પટોળાની વણાટ પ્રક્રિયામાં બેવડ ઈકત પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમાં આડી અને ઊભી ડિઝાઇન એવી રીતે વણવામાં આવે છે કે તેના રંગો અને ભાત ક્યારેય ઝાંખા પડતા નથી.

આ વિશેષતાને કારણે જ કહેવાય છે કે, “પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં…” એટલે કે, પટોળું ફાટે તો પણ તેની ડિઝાઇન અને રંગોની ચમક જળવાઈ રહે છે. આ પટોળાની નકશીઓમાં ફૂલ, મોર, હાથી, નર્તકી, ચોરસ ચોકડીએ સંસ્કૃતિનું જીવંત ચિત્રણ છે. દરેક નકશીકામ પાછળ પ્રેમ, સમૃદ્ધિ અને પરંપરાની એક વાર્તા વણાયેલી છે. અત્યારે પટોળું બનાવવા માટે રેશમ બેંગ્લોરથી, સુરતથી જરી અને કલર અમદાવાદ, રાજકોટથી મંગાવવામાં આવે છે. આ સિવાયનું બાકીનું તમામ કામ સ્થાનિક કક્ષાએ થાય છે.

પટોળાનાં વેચાણ અને કિંમત અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, અમે હાલમાં ડબલ ઇક્ત, સેમી ઇક્ત, સિંગલ ઇક્તમાં સાડીઓ, દુપટ્ટાઓ, પર્સ બનાવીએ છીએ. પહેલા વેચાણ માટે માર્યાદિત સ્ત્રોતો હતા. પરંતુ હવે સરકાર દ્વારા યોજાતા વેચાણ મેળાઓમાં મોટાભાગના ઉત્પાદનો વેચાઈ જાય છે. સરકાર દ્વારા આયોજિત મેળાઓ થકી વ્યક્તિગત ગ્રાહકો સુધી પહોંચવાનો માર્ગ મોકળો બન્યો છે. અમદાવાદ સિવાય સુરત, વડોદરા, દિલ્હી, મુંબઈ, કલકત્તા જેવા મોટા શહેરોમાં આજે પટોળા પહોંચ્યા છે. શરૂઆતમાં સરકારશ્રી દ્વારા મેળાઓમાં જવા માટે, રહેવા-જમવા અને પરિવહન સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. જેના થકી અમને વેચાણમાં ઘણી મદદ મળતી હતી. આમ, ભાંગી પડેલો પટોળાનો વ્યવસાય આજે સરકારની સહાય થકી ધબકતો થયો છે. ઐતિહાસિક રીતે પટોળા સમૃદ્ધિ અને શ્રેષ્ઠતાનું પ્રતીક રહ્યું છે. પહેલાં માત્ર સુખી અને સમૃદ્ધ પરિવારો જ તેને ખરીદી શકતા હતા. આજે એક પટોળાની કિંમત 10 હજારથી લઈને 3 લાખ રૂપિયા સુધી હોય છે, જે તેની કલાત્મકતા અને શ્રમનું મૂલ્ય દર્શાવે છે. 3 થી 4 વ્યક્તિઓ 15 થી 20 દિવસનાં સમયગાળામાં એક પટોળુ તૈયાર કરે છે.

પોતાનાં કામ અંગે માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, "જર્નલ ઓફ ટેક્સટાઈલ ડિઝાઈન, રિસર્ચ એન્ડ પ્રેક્ટિસ" નામનું પુસ્તક, જે યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કા, યુએસએના પ્રોફેસર વેન્ડી વેઈસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક માટે તેઓ અમારા ગામમાં રોકાયા, અમારી ઈકત તકનીકો અમારી પાસેથી શીખ્યા હતાં. મેં તેમના માટે એક પટોળાનો ટુકડો વણ્યો હતો, જે આજે તેમની યુનિવર્સિટીના મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યો છે. આ પુસ્તક વર્ષ 2014માં પ્રકાશિત થયું. આ ઉપરાંત કૃતિબેન ધોળકિયા અને નિફ્ટ ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા "ઈકત કી પેટી" નામનું પુસ્તક લખાયું છે. જે વર્ષ 2023માં પ્રકાશિત થયું હતું. મારી પટોળા ક્ષેત્રે શરૂ થયેલી સફર અને પટોળા બનાવવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા આ પુસ્તકમાં આલેખાયેલી છે.

આ ઉપરાંત સ્કૂલ ઓફ ફેશન ટેકનોલોજી, પુણે દ્વારા મને "એમ્પાવરિંગ ધ રૂટ્સ ઓફ પાટણ પટોળા"નાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. NIFT ગાંધીનગર સાથે ત્રણ વર્ષ સુધી પટોળા ક્લસ્ટરમાં માસ્ટર ડિઝાઇનર તરીકે કામ કરવાનો અવસર મળ્યો હતો. જેમાં મેં વિદ્યાર્થીઓ અને અન્ય કારીગરોને સિંગલ ઈકત ટેકનિકમાં તાલીમ આપી અને તેમની કુશળતા સુધારવામાં મદદ કરી છે. પાટણ પટોળા હેરીટેજ મ્યુઝીયમમાં પણ અમારા દ્વારા તૈયાર થયેલા ઉત્પાદનો લૂમ સાથે મુકવામાં આવ્યા છે. જે મારા અને સમગ્ર ઝાલાવાડ માટે ગૌરવની વાત છે. આજે પાટણનાં પટોળાનાં વેપારીઓ પણ અમારા ઉત્પાદનો વેચાણ અર્થે લઈ જાય છે. આમ લોકોના મનમાં પટોળા એટલે પાટણ એવો ખ્યાલ હતો, પરંતુ આજે પટોળા ક્ષેત્રે સુરેન્દ્રનગર પણ કાઠું કાઢી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે ભારતની કાપડ હસ્તકળા એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જેનું મુખ્ય કારણ ભારતનો સમૃદ્ધ કાપડ ઇતિહાસ છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં વિવિધ ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની વિવિધતાના કારણે જુદા-જુદા પ્રકારના કાપડોનું ઉત્પાદન થાય છે. જેથી કાપડ હસ્તકળામાં વૈવિધ્યતા જોવા મળે છે. દક્ષિણમાં મૈસુરની સિલ્ક સાડી, ઉત્તરમાં કાશ્મીરની પશ્મીના સાલ, પશ્ચિમમાં ગુજરાતની બાંધણી અને પટોળુ, પૂર્વમાં પશ્ચિમ બંગાળની જમદાની હસ્તકળાના ઉત્તમ નમૂના છે.

વર્ષ 2022માં યુનેસ્કો અને ક્રાફ્ટ રિવાઈવલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે ભારતના 50 વિશિષ્ટ અને આઇકોનિક હેરિટેજ ટેક્સટાઇલ ક્રાફ્ટની યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતની આઠ પરંપરાગત ટેક્સટાઇલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં પટોળા વણાટનો પણ સમાવેશ થાય છે. જે તેની વૈશ્વિક મહત્તા દર્શાવે છે. આ ઉપરાંત પટોળાને GI ટેગ પણ મળી ચુક્યો છે.

પટોળાએ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને કલાકારોના અથાક શ્રમનું પ્રતીક છે. આજે વિઠ્ઠલભાઈ વાઘેલા અને સોમાસરના કલા પ્રહરીઓ આ પરંપરાને જીવંત રાખીને તેને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી રહ્યા છે. આ હસ્તકલા ભારતની સમૃદ્ધ વણાટ પરંપરાનું ગૌરવ છે અને વૈશ્વિક સ્તરે તેની ઓળખ ભારતીય હસ્તકળાની વિવિધતા અને શ્રેષ્ઠતાને ઉજાગર કરે છે.