Shravan 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 18 Aug 2025 01:06 PM (IST)Updated: Mon 18 Aug 2025 01:06 PM (IST)
gujarat-cm-bhupendra-patel-prays-at-somnath-mahadev-on-last-monday-of-shravan-2025-for-states-prosperity-587420

Somnath Temple: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. કથાકાર રમેશભાઈ ઓઝાએ પાલખી યાત્રાનું પૂજન કર્યું અને ભક્તોને દર્શન માટે શુભેચ્છા પાઠવી હતી. શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ભક્તોની ભીડ ઉમટી હતી. વહેલી સવારે ભક્તોએ વિશેષ શૃંગારના દર્શન કર્યા હતા. સ્વયં વરુણ દેવે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો. મંદિર પરિસર ભક્તિમય માહોલથી છવાઈ ગયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ શિવલિંગ પર જળાભિષેક કર્યો અને વિધિવત રીતે સોમેશ્વર મહાપૂજા કરી હતી. તેમણે રાજ્યની સુખ-સમૃદ્ધિ અને વિકાસ માટે ભગવાન સોમનાથના ચરણોમાં પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુખ્યમંત્રીના આગમનથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા.

કથાકાર રમેશભાઈ ઓઝાએ પાલખીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

શ્રાવણના અંતિમ સોમવારે પ્રખર કથાકાર રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)એ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ધર્મ અને ભક્તિનો માહોલ જીવંત કર્યો. તેમણે પરંપરાગત પાલખી યાત્રાનું પૂજન કરીને તેને પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે, ભાઈશ્રીએ સોમનાથ મહાદેવનો વિશિષ્ટ અભિષેક કર્યો અને બિલ્વાર્ચના પણ કરી હતી. શ્રાવણના અંતિમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભાઈશ્રીએ તેમના સુવ્યવસ્થિત દર્શન માટે શુભકામનાઓ પાઠવી હતી. રમેશભાઈ ઓઝાએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યાત્રિકો માટે થઈ રહેલી સુવિધાઓની પ્રશંસા કરી અને મંદિર પ્રશાસનની આ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ભક્તોની ભીડ

શ્રાવણ માસના અંતિમ સોમવારે, દેશભરમાંથી શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા. આ પાવન દિવસે દૂર-દૂરથી તેમજ પગપાળા યાત્રાળુઓએ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે પ્રાર્થના અને આરતીના સમયે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સ્વયં વરુણ દેવે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો, જેના દર્શન કરીને ભક્તજનો ભાવવિભોર થયા હતા. ભગવાન સોમનાથને વિવિધ પ્રકારના ફૂલો, ચંદન અને ભસ્મથી સુંદર શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ વિશિષ્ટ શૃંગારના દર્શન માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આમ, શ્રાવણ માસના આ અંતિમ સોમવારે સોમનાથનું વાતાવરણ ભક્તિ અને શ્રદ્ધાથી છલકાઈ રહ્યું હતું.