Chaitar Vasava News: ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજરી માટે 3 દિવસના જામીન મળ્યાં

કોર્ટના આદેશ મુજબ, ચૈતર વસાવાને 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન પોતાના ખર્ચે પોલીસ જાપ્તા સાથે બહાર રહેવાની મંજૂરી મળશે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 01 Sep 2025 09:06 PM (IST)Updated: Mon 01 Sep 2025 09:06 PM (IST)
mla-chaitar-vasava-got-3-days-bail-to-attend-the-assembly-session-595744

Chaitar Vasava News: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જેઓ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં છે, તેમના રાજપીપળા કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ જામીન ખાસ વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે આપવામાં આવ્યા છે.

કોર્ટના આદેશ મુજબ, ચૈતર વસાવાને 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન પોતાના ખર્ચે પોલીસ જાપ્તા સાથે બહાર રહેવાની મંજૂરી મળશે. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે યોજાનાર વિધાનસભાના ચોમાસા સત્રમાં હાજરી આપી શકશે. જોકે, 10 સપ્ટેમ્બરના રોજ સત્ર પૂર્ણ થયા બાદ તેમને પાછા વડોદરા સેન્ટ્રલ જેલમાં જવું પડશે.

ચૈતર વસાવા પરના કેસોને કારણે તેઓ સતત જેલમાં હતા, જેના કારણે તેઓ ધારાસભ્ય તરીકેની ફરજ બજાવવામાં અસમર્થ રહ્યા હતા. વિધાનસભા સત્રમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને પોતાના વિસ્તારના પ્રશ્નો ઉઠાવવા માટે કોર્ટમાં તેમણે અરજી કરી હતી. કોર્ટ દ્વારા તેમની અરજી સ્વીકારી પોલીસ સુરક્ષા સાથે જેલમાંથી બહાર રહેવા મંજૂરી આપવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ત્રણેય દિવસ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા રહેશે અને વસાવા કોર્ટના નિયમોનું પાલન કરશે તેવું નિશ્ચિત કરવામાં આવશે. આ નિર્ણય રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે ચૈતર વસાવા પોતાના વિસ્તારના આદિવાસી હિતોને લઈને હંમેશાં સક્રિય રહ્યા છે અને વિધાનસભામાં તેમનું વલણ સરકાર માટે પડકારરૂપ બની શકે છે.