Janmashtami 2025: જન્માષ્ટમીના પાવન પર્વે આજે ડાકોર ધામ ભક્તિના રંગે રંગાઈ ગયું છે. વહેલી સવારથી જ “હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી” અને “જય રણછોડ માખણચોર”ના ગગનભેદી નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
મંગળા આરતીમાં ભક્તોનો ઘસારો
આજે સવારે 6:45 વાગ્યે યોજાયેલી મંગળા આરતીમાં કૃષ્ણભક્તોનો ભારે ઉમટો જોવા મળ્યો હતો. દૂરદૂરથી આવેલા વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. પૂજારી બિરેનભાઈ સેવકએ જણાવ્યું કે, મંગળા આરતી દરમિયાન “નંદ ઘેર આનંદ ભયો”ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
મંદિરનો સમય અને દર્શન વ્યવસ્થા
મંદિર આજે સવારે 6:30 કલાકે ખુલ્યું હતું અને ભક્તો માટે દર્શન બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ ઠાકોરજી પોઢી જશે. સાંજે 4:45 વાગ્યે મંદિર ફરીથી ખુલશે અને 5 વાગ્યે ઉત્થાપન આરતી યોજાશે. રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે.
જન્મોત્સવ બાદનો શણગાર
મધરાતે જન્મોત્સવ બાદ ભગવાનને તિલક કરી પંચામૃત સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ આભૂષણોથી શણગાર કરીને ઠાકોરજીને મોટો મુકુટ અર્પણ કરવામાં આવશે. રાત્રે 2:30 વાગ્યે ગોપાલલાલજી મહારાજને સોનાના પારણામાં ઝુલાવવામાં આવશે.
નંદમહોત્સવની તૈયારીઓ
જન્માષ્ટમીના બીજા દિવસે નંદમહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ભજન-કિર્તનમાં ઝૂમી ઉઠશે. મંદિર પરિસર લાઈટિંગ અને આસોપાલવના તોરણોથી સજ્જ થઇ ગયું છે, જેના કારણે ડાકોર યાત્રાધામ આજે ભક્તિમય માહોલમાં ઝળહળી રહ્યું છે.