Junagadh Rain: જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યુઃ મેંદરડામાં 12.8 ઇંચ, વંથલીમાં 10.7 અને કેશોદમાં 10.2 ઇંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

જૂનાગઢ જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 20 Aug 2025 04:19 PM (IST)Updated: Wed, 20 Aug 2025 04:19 PM (IST)
heavy-rain-in-junagadh-12-8-inches-in-mendarda-waterlogging-reported-in-vanthali-keshod

Junagadh Rain: હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સવારથી જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મેંદરડા તાલુકામાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી છે.

ડેમો છલકાયા, નદીઓ બે કાંઠે

જૂનાગઢ જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત, જૂનાગઢ તાલુકાના માણાવદરમાં સાડા 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસુલા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે અને તેના પાણીનો પ્રવાહ પણ વધી ગયો છે.

naidunia_image

ભારે વરસાદના કારણે ઓઝત વીયરની નદીઓ બે કાંઠે વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સતત વરસાદના કારણે ઓઝતનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે.

અચાનક પૂર, તંત્રની મદદ નહીં મળતા ગ્રામજનોમાં રોષ

જિલ્લાના એક ગામમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોએ પોતાની રીતે જ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર તરફથી તેમને કોઈ મદદ પહોંચી નથી અને વરસાદી પાણીથી તેમના ઘરના સામાનને ભારે નુકસાન થયું છે.

naidunia_image

જૂનાગઢ જિલ્લાના વરસાદના આંકડા

તાલુકો 2 વાગ્યા સુધીનો કુલ વરસાદ(ઇંચમાં)
મેંદરડા 12.8
વંથલી 10.7
કેશોદ 10.2
માંગરોળ 7.68
માળિયા હાટીના 4.69
જૂનાગઢ 3.86
જૂનાગઢ શહેર 2.72
માણાવદર 2.72
naidunia_image

50થી વધુ રસ્તાઓ બંધ

ભારે વરસાદના કારણે પંચાયત અને માર્ગ-મકાન વિભાગ હેઠળના કુલ 75 જેટલા રસ્તાઓ (50 પંચાયત અને 25 રાજ્ય ધોરીમાર્ગ) હાલ બંધ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને આ રસ્તાઓ પર અવર-જવર ન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.