Kutch: વિશ્વ ઉમિયાધામા પ્રમુખ આર. પી. પટેલનું સ્ફોટક નિવેદન, કહ્યુંઃ પાટીદારોમાં વન ચાઈલ્ડ અને નો ચાઈલ્ડનો ટ્રેન્ડ ખૂબ જ ઘાતક

આર. પી. પટેલના મતે, આ વલણ સમાજ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે, કારણ કે તેના કારણે ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 11 Aug 2025 02:50 PM (IST)Updated: Mon 11 Aug 2025 02:50 PM (IST)
kutch-vishwa-umiyadham-president-warns-patidar-community-against-rising-one-child-and-no-child-trend-583235
HIGHLIGHTS
  • તેમણે જણાવ્યું કે જો સંખ્યાબળ ઘટશે તો ભવિષ્યમાં 'કાકા' અને 'મામા' પણ ભાડે રાખવા પડે તેવી સ્થિતિ આવી શકે છે.
  • તેમણે જણાવ્યું કે જો સંખ્યાબળ ઘટશે તો અસ્તિત્વ માટે લડવું પડશે અને સનાતન ધર્મની તાકાત પણ નબળી પડશે.

Kucth News: વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે કચ્છના નખત્રાણા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પાટીદાર સમાજને સંબોધતા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સમાજમાં વધી રહેલા 'વન ચાઈલ્ડ' અને 'નો ચાઈલ્ડ'ના ટ્રેન્ડ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી. આર. પી. પટેલના મતે, આ વલણ સમાજ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે, કારણ કે તેના કારણે ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે. તેમણે પાટીદાર સમાજને ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા માટે અપીલ કરી છે, જેથી સમાજની સામાજિક અને રાજકીય તાકાત જળવાઈ રહે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો સંખ્યાબળ ઘટશે તો અસ્તિત્વ માટે લડવું પડશે અને સનાતન ધર્મની તાકાત પણ નબળી પડશે.

આર.પી.પટેલે સમાજને ભવિષ્યમાં ઊભી થઈ શકે તેવી ગંભીર પરિસ્થિતિઓથી વાકેફ કર્યા. તેમણે વ્યંગાત્મક રીતે જણાવ્યું કે જો સંખ્યાબળ ઘટશે તો ભવિષ્યમાં 'કાકા' અને 'મામા' પણ ભાડે રાખવા પડે તેવી સ્થિતિ આવી શકે છે. આ ઉપરાંત, તેમણે ચેતવણી આપી કે સમાજની ઘટતી વસ્તી વચ્ચે જો અસામાજિક તત્વો દ્વારા જમીન અને મિલકતના પ્રશ્નો ઊભા થાય તો સમાજે સંગઠિત થઈને લડવું પડશે, નહીંતર સંપત્તિ અને જમીન ગુમાવતા વાર નહીં લાગે. તેમણે યુવાનોને આ માટે તત્પર રહેવા જણાવ્યું. તેમણે કાશ્મીર અને બંગાળમાંથી હિંદુઓ ભાગી રહ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો, જે તેમની વ્યાપક ચિંતા દર્શાવે છે.

આર.પી.પટેલે કાર્યક્રમમાં કચ્છ કડવા પાટીદાર સમાજના સંગઠનના વખાણ કર્યા અને જણાવ્યું કે આ સમાજ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેમણે કેકેપીના યુવાનો અને મહિલાઓને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે સક્રિયપણે જોડાવા માટે આગ્રહ કર્યો. તેમણે આગામી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે ભુજ ખાતે 14 સપ્ટેમ્બરના રોજ ફાઉન્ડેશન દ્વારા રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છની 11,000 દીકરીઓને કટાર આપવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદ ખાતે નિર્માણ થઈ રહેલા વિશ્વના સૌથી ઊંચા કુળદેવી મા ઉમિયા મંદિરની જાણકારી આપતા તેમણે ડિસેમ્બર 2027માં સંભવિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તેવી વાત પણ જણાવી.