Ahmedabad Road Closed News: જો તમે દરરોજ એસજી હાઇવેનો અવર-જવર માટે ઉપયોગ કરી રહ્યાં છો અથવા તો સૌરાષ્ટ્રથી અમદાવાદ શહેરમાં કે અન્યત્ર જવા માટે એસજી હાઇવેનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ અપડેટ છે. એસજી હાઇવે પર સરખેજથી ઇસ્કોન વચ્ચે બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે ફ્લાયઓવરના નિર્માણ માટે YMCA ક્લબ ચાર રસ્તા તરફથી કર્ણાવતી ક્લબ તરફ જતો રસ્તો આગામી છ મહિના માટે બંધ કરવામાં આવ્યો છે અને આજથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે વાહનચાલકોને 2 કિ.મી.નો વધારાનો રસ્તો કાપવો પડશે.
આજે ડાયવર્ઝનના કારણે લોકો ટ્રાફિકમાં ફસાયા
YMCA ક્લબ ચાર રસ્તા તરફથી કર્ણાવતી ક્લબ તરફ જતો રસ્તો બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. 1.2 કિ.મી.નો રસ્તો બંધ તવાથી મુમતપુરા રોડ અને એસજી હાઇવે પર ટ્રાફિકજામ થતાં ઓફિસ જવાના સમયે જ લોકો 20 મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.
વૈકલ્પિક માર્ગનો કરી શકો છો ઉપયોગ
આ રસ્તો બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જો તમે એસજી હાઇવે સરખેજ તરફથી ઇસ્કોન તરફ આવી રહ્યાં હોવ તો તમારે YMCA ક્લબ પાસેથી ડાબી બાજુ વળાંક લેવાનો રહેશે. ત્યારબાદ પહેલા ભગવાન સર્કલ અને ત્યારબાદ જમણી બાજુ વળીને ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવું પડશે. ફરી જમણી બાજુ વળીને કર્ણાવતી ક્લબ તરફ આવવું પડશે અને ત્યારબાદ તમે ઇસ્કોન કે એસજી હાઇવે પર જઇ શકશો. ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે જવાનો ઉભા રાખવામાં આવ્યા છે. તેમજ ઇસ્કોનથી સરખેજ તરફનો રસ્તો ચાલુ છે.