Ahmedabad School Murder Case: અમદાવાદમાં મૃતક વિદ્યાર્થીની અંતિમયાત્રા ઘરેથી નીકળી ગઈ છે. આ અંતિમયાત્રા સેવન્થ ડે સ્કૂલ પર થઈને નીકળશે ત્યારે સ્કૂલ પર પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. હવે ક્રાઇમ બ્રાન્ચ પણ એલર્ટ પર છે. હવે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. મૃતક વિદ્યાર્થીની અંતિમયાત્રાને લઇને મણીનગર આવકાર હોલથી હાટકેશ્વર તરફ જવાનો ગુરુજી બ્રિજ પરનો એક તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર કેસની તપાસ કરશે. પરિવારજનોએ માગ કરી હતી કે ક્રાઈમ બ્રાન્ચને આ કેસની તપાસ આપવામાં આવે જે માંગ પૂરી કરવામાં આવી છે.
પરિવારજનોએ ફાંસીની માગ કરી
મૃતકના પરિવારજનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. સાથે જ સ્કૂલને હમેશા માટે બંધ કરવાની પણ માગ થઈ રહી છે.
જાણો શું છે સમગ્ર મામલો
તારીખ 19 ઓગસ્ટના બપોરે સ્કૂલ છૂટી ત્યારે ધોરણ 10નો વિદ્યાર્થી બહાર આવ્યો હતો. તે સ્કૂલની સામેના ભાગે મણિયાશા સોસાયટીના ગેટની નજીક પહોંચ્યો ત્યારે ધોરણ 8ના વિદ્યાર્થીએ તેની સાથે બોલાચાલી કરી હતી. આ સમયે અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા, આ દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવી રાખેલી છરી કાઢીને સગીરને ઘા ઝીંકી દીધા હતા અને ત્યાથી નાસી છૂટ્યો હતો. આ તરફ ઘાયલ થયેલ વિદ્યાર્થી ડરના માર્યો સ્કૂલના કમ્પાઉન્ડના તરફ દોડી આવ્યો હતો, જેને સિક્યોરિટી ગાર્ડે જોતા સ્કૂલ સત્તાવાળાઓ તેમજ પોલીસને જાણ કરી હતી.