Chandkheda-Sabarmati Rail Link: અમદાવાદના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાંરૂપે, ગુરુવારના રોજ કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી (CRS) દ્વારા ચાંદખેડા રોડ અને સાબરમતી 'ડી' કેબીન વચ્ચે નવી બંધાયેલી બ્રોડગેજ વાય-કનેક્ટિવિટી લાઇનનું નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું.
નવી રેલ લાઇનનું નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ
પશ્ચિમ સર્કલના કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી શ્રીનિવાસ દ્વારા મોટર ટ્રોલીની મદદથી આ 0.590 કિલોમીટર લાંબી કનેક્ટિવિટી લાઇનનું પરીક્ષણ કરી અને તેના પર સ્પીડ ટ્રાયલ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (કન્સ્ટ્રક્શન) પ્રદીપ ગુપ્તા અને અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવા રૂટથી મુસાફરો અને ટ્રેન નેટવર્કને ફાયદો
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, નવી વાય-કનેક્ટિવિટી લાઇન અમદાવાદના રેલવે નેટવર્કને આધુનિક બનાવવા અને ભારે ભીડ ધરાવતા સાબરમતી યાર્ડ પરની નિર્ભરતા ઘટાડવા માટેનો એક અત્યંત વ્યૂહાત્મક પ્રોજેક્ટ છે.
આ નવા રૂટના અમલીકરણથી, ઉત્તર અને પૂર્વ ભારત તરફ જતી-આવતી ટ્રેનો, ખાસ કરીને સૌરાષ્ટ્ર ક્ષેત્ર સાથે જોડાયેલી ટ્રેનો, હવે વ્યસ્ત સાબરમતી 'ડી' કેબિન સેક્શનમાં પ્રવેશ્યા વિના જ આ વૈકલ્પિક કોરિડોરનો ઉપયોગ કરી શકશે.
અધિકારીઓના મતે, આ નવી લાઇન ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરશે, ટ્રેનોની અવરજવર વધુ સરળ અને ઝડપી બનાવશે, તેમજ મુસાફરીના સમયમાં પણ ઘટાડો કરશે. એટલું જ નહીં, તેનાથી અમદાવાદ (કાલુપુર) અને સાબરમતી રેલવે સ્ટેશનો પર ટ્રાફિકની ભીડ હળવી થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કેમિસ્ટોની હડતાળ, 20 મેના રોજ 35 હજારથી વધુ દવાની દુકાનો બંધ રહેશે; જાણો શું છે કારણ
ચાંદખેડા રોડ સ્ટેશન બનશે નવું ટર્મિનલ
રેલવે વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના મુસાફરોને વધુ સારી અને આધુનિક રેલ સુવિધા પૂરી પાડવા માટે ચાંદખેડા રોડ સ્ટેશનને એક નવા ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ નવો બાયપાસ ભવિષ્યમાં પશ્ચિમ રેલવે નેટવર્કને વધુ મજબૂત બનાવી વધારાની ટ્રેનોના સંચાલનમાં મદદરૂપ બનશે.
અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે, સુધારેલી રેલ કનેક્ટિવિટીના કારણે ચાંદખેડા અને આસપાસના વિસ્તારોમાં વ્યાપાર પ્રવૃત્તિ અને રિયલ એસ્ટેટના વિકાસને પણ મોટો વેગ મળશે. નવી વાય-કનેક્ટિવિટી લાઇન ભારતીય રેલવેને એક કાર્યક્ષમ વૈકલ્પિક રૂટ પૂરો પાડવાની સાથે મુસાફરોની સુવિધામાં પણ નોંધપાત્ર વધારો કરશે.
