Ration Card Reactive Process: આ ડૉક્યુમેન્ટની મદદથી રદ્દ થયેલું રાશન કાર્ડ 7 થી 10 દિવસમાં જ થઈ જશે શરૂ, જાણી લો એકદમ સરળ રીત

રાશન કાર્ડને ફરીથી શરૂ કરાવતા પહેલા તેના બંધ થવા પાછળના કારણ જાણવા જરૂરી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 11 Dec 2024 11:04 PM (IST)Updated: Wed 11 Dec 2024 11:04 PM (IST)
utility-new-how-to-ration-card-reactive-process-in-gujarati-443531
HIGHLIGHTS
  • દર 5 વર્ષે રાશન કાર્ડને રિન્યૂ કરાવવાનું ભૂલતા નહીં

Ration Card Reactive Process: સરકાર દ્વારા આપવામાં આવતા રાશન કાર્ડ થકી જરૂરિયાતમંદ લોકોને ફ્રી રાશનનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત રાશન કાર્ડ સરકારી પુરાવા તરીકે પણ માન્ય ગણાય છે. જો કે લાંબા સમયથી ઈન-એક્ટિવ તેમજ કે.વાય.સી. ના કરાવ્યું હોય સહિત અન્ય કારણોસર ફૂડ વિભાગ દ્વારા રાશન કાર્ડ કેન્સલ કરી દેવામાં આવે છે. જો કે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે આપને તમારું રદ્દ થઈ ગયેલું રાશન કાર્ડ ફરીથી એક્ટિવ કરવાની પ્રોસેસ વિશે વિગતવાર જણાવીશું.

સૌ પ્રથમ તો આપણે એ જાણવું પડશે કે, આપણું રાશન કાર્ડ ક્યા કારણોસર બંધ કરવામાં આવ્યું છે? જે બાદ જ આપણે તેને ફરીથી ચાલુ કરાવી શકીશું. રાશન કાર્ડ બંધ થવા પાછળ કેટલાક કારણો જોઈએ તો, આધાર કાર્ડ સાથે લિન્ક ના કરાવ્યું હોય, KYC પુરું ના કરાવ્યું હોય, રહેઠાણ બદલવા છતાં રાશન કાર્ડ અપડેટ ના કરાવવું, લાંબા સમય સુધી રાશનનો લાભ ના લીધો હોય તેમજ ગેરકાયદેસર રીતે રાશન કાર્ડ બનાવવું વગેરે…

જરૂરી ડૉક્યુમેન્ટ
બંધ થઈ ગયેલું રાશન કાર્ડ ફરીથી શરૂ કરાવવા માટે તમારી પાસે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા વૉટર આઈડીની ફોટો કૉપી, તમારા પાસપોર્ટ સાઈઝના બે ફોટા, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો અને સોગંધનામાની જરૂર પડશે.

રાશન કાર્ડ કેવી રીતે એક્ટિવ કરવું?
આ માટે તમારે તમારા ઘરની નજીક આવેલ ફૂડ વિભાગની ઑફિસ પર જવું પડશે. જ્યાંથી રાશન કાર્ડને ફરીથી શરૂ કરવા માટેનું ફોર્મ મેળવવું પડશે. આ ફોર્મ તમને ઓનલાઈન ફૂડ વિભાગની સત્તાવાર વેબસાઈટથી પણ મળી શકે છે.

આ ફોર્મમાં દર્શાવ્યા પ્રમાણે ધ્યાન પૂર્વક વિગતો ભરવાની રહેશે. જેમકે રાશન કાર્ડનો નંબર, પરિવારના સભ્યોના નામ અને ઉંમર વગેરે. આ ફોર્મ ભર્યા બાદ નીચે તમારે સહી કરવાની રહેશે. જે બાદ ફોર્મ સાથે ઉપર જણાવેલા ડૉક્યુમેન્ટની કૉપી એટેચ કરવી પડશે. હવે આ ફોર્મ સહિતના ડૉક્યુમેન્ટ તમારે ફૂડ વિભાગની ઑફિસમાં જઈને જમા કરાવવું પડશે.

તમે ફોર્મ સબમીટ કરશો, તે બાદ ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા વેરિફાઈ કરવામાં આવશે. જો અધૂરી કે ખોટી વિગતો ફોર્મમાં હશે, તો તે રદ્દ કરી દેવામાં આવશે, પરંતુ જો તેમને બધુ વ્યવસ્થિત જણાશે, તો ફોર્મ ભર્યાના 7 થી 10 દિવસમાં તમારું રાશન કાર્ડ ફરીથી એક્ટિવ એટલે કે શરૂ થઈ જશે.

અહીં એક વાતનું ધ્યાન રાખશો કે, રાશન કાર્ડ માત્ર જરૂરિયાતમંદ લોકોનું જ બને છે. જો તમે તે કેટેગરીમાં નહીં આવતા હોવ, તો તમારું રાશન કાર્ડ રદ્દ કરી દેવામાં આવશે. આ ઉપરાંત દર 5 વર્ષે રાશન કાર્ડને રિન્યૂ કરાવવાનું ભૂલતા નહીં.