PM Modi: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવ્યા બાદ ઘણા પાકિસ્તાનીઓ નારાજ થયા છે. કનેરિયાએ વડાપ્રધાન મોદીની S 400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સાથેની તસવીર શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા આપી હતી, જેના પર ઘણા પાકિસ્તાની યુઝર્સે તેમને અપશબ્દો કહ્યા હતા.
દાનિશ કનેરિયાની સોશિયલ મીડિયા પોસ્ટ
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર તેમને વિશ્વભરમાંથી શુભકામનાઓ મળી હતી, જેમાં ઘણા રાષ્ટ્રાધ્યક્ષો અને જાણીતી હસ્તીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, "વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને સારું સ્વાસ્થ્ય, શક્તિ મળે અને તમે આ જ રીતે ભારતને શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જવામાં સફળ થતા રહો.
Wishing Hon’ble Prime Minister Shri @narendramodi ji a very happy birthday. May you be blessed with good health, strength, and continued success in leading India towards peace and prosperity. pic.twitter.com/o9xo5zEjB1
— Danish Kaneria (@DanishKaneria61) September 17, 2025
કેમ ખાસ છે પીએમ મોદીની આ તસવીર
કનેરિયાએ પોતાના શુભેચ્છા સંદેશ માટે જે તસવીર પસંદ કરી હતી, તેના કારણે સૌનું ધ્યાન ખેંચાયું. આ તસવીરમાં વડાપ્રધાન મોદીની પાછળ એસ 400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દેખાઈ રહી છે. આ તસવીર 'ઓપરેશન સિંદૂર' પછી તરત જ લેવામાં આવી હતી, જ્યારે વડાપ્રધાન મોદી પંજાબના આદમપુર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. તે સમયે પાકિસ્તાને એવો પ્રચાર કર્યો હતો કે તેમના હુમલામાં આદમપુર એરબેઝ અને એસ-400 સિસ્ટમ નાશ પામ્યા હતા. તેના બીજા જ દિવસે વડાપ્રધાન મોદીએ આદમપુર એરબેઝ પહોંચીને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝનું 'ફેક્ટ-ચેક'કરીને પાકિસ્તાનને સંદેશ આપ્યો હતો.
પાકિસ્તાનીઓ થયા નારાજ
પાકિસ્તાનના કોઈ પૂર્વ ક્રિકેટર દ્વારા ભારતીય વડાપ્રધાનને શુભેચ્છા પાઠવવામાં આવે તે પાકિસ્તાનીઓને પસંદ ન આવ્યું. તેમાં પણ વડાપ્રધાન મોદીની એસ-400 સાથેની તસવીર જોઈને કટ્ટરપંથીઓ વધુ ગુસ્સે ભરાયા. કનેરિયાની આ પોસ્ટ પર ઘણા પાકિસ્તાનીઓએ તેમને અપશબ્દો કહ્યા અને ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો.
આ પણ વાંચો:
હિન્દુ હોવાને કારણે ભેદભાવ
દાનિશ કનેરિયા તેમના સમયના શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક ગણાતા હતા, પરંતુ હિન્દુ હોવાને કારણે તેમને પોતાની જ ટીમના ખેલાડીઓ દ્વારા વારંવાર અપમાનિત થવું પડ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના પર ધર્મ પરિવર્તન માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું અને તેમનું ઉત્પીડન પણ થયું હતું, પરંતુ તેઓ ઝૂક્યા નહીં.
આનાથી વિપરીત પાકિસ્તાનના એક ખ્રિસ્તી ક્રિકેટર યુસુફ યોહાનાને પાકિસ્તાની ક્રિકેટમાં ટકી રહેવા માટે ધર્મ પરિવર્તન કરીને મોહમ્મદ યુસુફ બનવું પડ્યું હતું. આ એ જ મોહમ્મદ યુસુફ છે જેમણે તાજેતરમાં એશિયા કપના 'નો હેન્ડશેક' વિવાદ પર એક લાઈવ ટીવી કાર્યક્રમમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
