India vs Pakistan: એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 'નો-હેન્ડશેક વોર' ની ચર્ચાઓ હજુ અટકવાનું નામ લઈ રહી નથી, ત્યાં ફરી એકવાર બંને ટીમો આમને-સામને થવા જઈ રહી છે. 21 સપ્ટેમ્બરના રોજ રવિવારે દુબઈમાં યોજાનારી સુપર 4 મેચમાં બંને કટ્ટર હરીફો ટકરાશે. આ હાઈ-વોલ્ટેજ મેચને લઈને બંને દેશોના ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર 'નો હેન્ડશેક' ટ્રેન્ડ કરી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 'No Handshake War'
આ પણ વાંચો
પાકિસ્તાને ગ્રુપ A ની મેચમાં UAE ને 41 રનથી હરાવીને સુપર 4 માં પોતાની જગ્યા બનાવી છે. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને આવશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી લીગ મેચ દરમિયાન ભારતીય કેપ્ટને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની ઘટનાએ મોટો વિવાદ ઊભો કર્યો હતો.
હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે શું આગામી મેચમાં બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવશે કે નહિ? મુખ્ય સવાલ એ છે કે શું ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવ પાકિસ્તાની કપ્તાન સલમાન આગા સાથે હાથ મિલાવશે? અગાઉ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં થયેલા વિવાદ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને એશિયા કપમાંથી હટાવવાની માંગ કરી હતી, કારણ કે તેમનું માનવું હતું કે આ બધું તેમના હસ્તક્ષેપના કારણે જ થયું હતું.
આ પણ વાંચો
હાથ મિલાવવાને લઈને ICCના નિયમો
જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના નિયમોમાં ક્યાંય પણ હાથ મિલાવવો ફરજિયાત હોવાનો ઉલ્લેખ નથી. ખેલાડીઓ મેચ પહેલાં કે પછી માત્ર ખેલભાવનાને ધ્યાનમાં રાખીને હાથ મિલાવે છે. પરંતુ ICC ની આચારસંહિતાના આર્ટિકલ 2.1.8 મુજબ ખેલભાવના વિરુદ્ધનું કોઈપણ આચરણ રમતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારું ગણાય છે. આ પ્રકારના લેવલ-1 ના ગુના માટે ચેતવણી અથવા દંડ થઈ શકે છે.
