Cockroach Janata Party Controversy: ભારતમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવનાર વ્યંગાત્મક રાજકીય સંગઠન કોકરોચ જનતા પાર્ટી (CJP) સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતમાં આ સંગઠનનું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X એકાઉન્ટ બ્લોક કરી દેવાયું છે. નોંધનીય છે કે, આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે આ સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી લીધી છે.
જોકે, X પર પ્રતિબંધ હોવા છતાં, ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર આ પેજની લોકપ્રિયતા આસમાને પહોંચી છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેના 14 મિલિયનથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. ફોલોઅર્સની સંખ્યાની દ્રષ્ટિએ આ વ્યંગાત્મક એકાઉન્ટે ભારતના સૌથી મોટા સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ને પણ પાછળ છોડી દીધી છે.
સ્થાપક અભિજીત દિપકાએ સ્ક્રીનશોટ શેર કરી આપી માહિતી
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોટ શેર કરીને આ બાબતની પુષ્ટિ કરી છે. તેમણે કટાક્ષ કરતા લખ્યું કે, 'અપેક્ષા મુજબ, ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે.'
હાલમાં X પ્લેટફોર્મ પર તેમના સત્તાવાર હેન્ડલ @CJP_2029 ને સર્ચ કરવા પર 'એકાઉન્ટ વિથહેલ્ડ' (Account Withheld) લખેલી નોટિસ દર્શાવે છે. કાનૂની માંગણીઓ અને નિર્દેશોને આધારે આ એકાઉન્ટને માત્ર ભારતની ભૌગોલિક સીમાઓ પૂરતું જ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.
ભાજપના સત્તાવાર એકાઉન્ટને પણ પછાડ્યું
આ વ્યંગાત્મક સંગઠનની ડિજિટલ લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે સોશિયલ મીડિયાના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા માત્ર 4 દિવસમાં જ 14.4 મિલિયન (1.44 કરોડ) ને વટાવી ગઈ છે. તેની સરખામણીમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) ના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આશરે 8.8 મિલિયન ફોલોઅર્સ છે. આમ, CJP એ ફોલોઅર્સની રેસમાં ભાજપને પણ નોંધપાત્ર અંતરથી પાછળ છોડી દીધું છે.
શું છે આખી વિવાદિત વાર્તા?
આ સમગ્ર મામલાની શરૂઆત એક કોર્ટ સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સૂર્યકાંત શર્મા દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણીથી થઈ હતી. સોશિયલ મીડિયા યુઝર્સે આ ટિપ્પણીને દેશના બેરોજગાર યુવાનો અને 'કોકરોચ' અથવા 'સમાજના પરોપજીવી' વચ્ચેની સરખામણી તરીકે જોઈ હતી. આના વિરોધ અને પ્રતિક્રિયા સ્વરૂપે, અભિજીત દિપકેએ એક વ્યંગાત્મક આંદોલન તરીકે CJP (કોકરોચ જનતા પાર્ટી) ની ઓનલાઈન સ્થાપના કરી, જેને તેમણે આળસુ અને બેરોજગાર યુવાનોનો અવાજ ગણાવ્યો.
આ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ થયાના માત્ર 24 કલાકની અંદર જ 5000 થી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જોતજોતામાં આ પેજ સોશિયલ મીડિયા પર દેશના યુવાનોની હતાશા અને આક્રોશને વાચા આપતી એક મોટી જન ચળવળમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે તે હાલમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
