Cockroach Janta Party Instagram Followers: ઇન્સ્ટાગ્રામ પર લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં જ આશરે 10 મિલિયન (1 કરોડ) ફોલોઅર્સનો આંકડો પાર કરીને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દેશભરમાં ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગઈ છે. આ રાજકીય વ્યંગ્ય પેજે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યાને પણ પાછળ છોડી દીધી છે, જેના કારણે દેશના ડિજિટલ અને રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય અને આતુરતા જોવા મળી રહી છે.
ભાજપ કરતા આગળ નીકળ્યું પેજ
21 મે સુધીના સત્તાવાર અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વિવિધ પક્ષોની લોકપ્રિયતા નીચે મુજબ નોંધાઈ છે:
- કોકરોચ જનતા પાર્ટી (CJP): 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ
- ભારતીય જનતા પાર્ટી (@bjp4india): આશરે 8.7 મિલિયન ફોલોઅર્સ
- કોંગ્રેસ પક્ષ (@incindia): આશરે 13.3 મિલિયન ફોલોઅર્સ
- આમ આદમી પાર્ટી (@aamaadmiparty): આશરે 1.9 મિલિયન ફોલોઅર્સ
આ પરિસ્થિતિ વચ્ચે માત્ર થોડા જ દિવસોમાં 'કોકરોચ જનતા પાર્ટી'એ મેળવેલી લોકપ્રિયતા તાજેતરના વર્ષોમાં ભારતની અંદર સોશિયલ મીડિયા પર જોવા મળેલો સૌથી મોટો ડિજિટલ ટ્રેન્ડ સાબિત થઈ રહ્યો છે.
કોણ છે આ અનોખા પેજના સ્થાપક?
આ વાયરલ ડિજિટલ આંદોલનની શરૂઆત મહારાષ્ટ્રના ઔરંગાબાદના વતની 30 વર્ષીય અભિજીત દીપકે દ્વારા કરવામાં આવી છે. અભિજીતે તાજેતરમાં જ અમેરિકાની પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR) વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ઇન્સ્ટાગ્રામ બાયોમાં તે પોતાને આ પાર્ટીનો 'સ્થાપક પ્રમુખ' તરીકે ઓળખાવી રહ્યો છે અને આ પેજને 'યુવાનો દ્વારા, યુવાનો માટે અને યુવાનોનો રાજકીય મોરચો' તરીકે રજૂ કર્યો છે.
નોંધનીય છે કે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા પહેલા અભિજીત આમ આદમી પાર્ટી (AAP) ની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ કાર્ય કરી ચૂક્યો છે.
કેવી રીતે થઈ આ ટ્રેન્ડની શરૂઆત? જાણો સમગ્ર વિવાદ
આ આખી ઘટના પાછળ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત દ્વારા કોર્ટની સુનાવણી દરમિયાન કરવામાં આવેલી એક કથિત ટિપ્પણી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, મુખ્ય ન્યાયાધીશે સોશિયલ મીડિયા અને સક્રિયતાના ક્ષેત્રે જોડાયેલા કેટલાક બેરોજગાર યુવાનો માટે કથિત રીતે 'કોકરોચ' (વંદા) અને 'પરોપજીવી' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ટિપ્પણીના વિરોધ અને આક્રોશમાં સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી' નામે એક પેજ ઊભું કરવામાં આવ્યું જે જોતજોતામાં વાયરલ થઈ ગયું.
જોકે, વિવાદ વકર્યા બાદ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા આ મામલે સત્તાવાર સ્પષ્ટતા જારી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની ટિપ્પણીઓને મીડિયા દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેઓ દેશના યુવાનો વિરુદ્ધ નહોતા બોલી રહ્યા, પરંતુ નકલી ડિગ્રીઓ મેળવીને કાયદા અને મીડિયા જેવા પવિત્ર ક્ષેત્રોને કલંકિત કરતા તત્વો પર નિશાન સાધી રહ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ભારતીય યુવાનોનું ખૂબ જ સન્માન કરે છે અને તેમને દેશના ભવિષ્યના વાસ્તવિક આધારસ્તંભ માને છે.
સોશિયલ મીડિયાની તાકાત
જોકે 'કોકરોચ જનતા પાર્ટી' કોઈ સત્તાવાર કે સરકારી ચોપડે નોંધાયેલ રાજકીય પક્ષ નથી અને તે માત્ર એક ડિજિટલ મંચ છે, તેમ છતાં તેનો આ અદ્ભુત વિકાસ દર્શાવે છે કે આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર કરવામાં આવતો વ્યંગ અને રાજકીય રમૂજ દેશના યુવાનોના વિચારો અને જાહેર ચર્ચાઓને પ્રભાવિત કરવામાં કેટલી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
