Russia Ukraine War Update: યુક્રેનિયન અધિકારીઓએ માહિતી આપી છે કે રશિયાએ શનિવારે યુક્રેનની રાજધાની કિવ પર મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઇલો છોડ્યા હતા, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને 15 અન્ય ઘાયલ થયા હતા. ફેબ્રુઆરી 2022માં બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી આ હુમલો રશિયાનો યુક્રેન પરનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. રવિવારે થયેલા હુમલા બાદ, એક મુખ્ય સરકારી ઇમારતની છત પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાએ 805 ડ્રોનથી યુક્રેન પર હુમલો કર્યો છે.
યુક્રેનિયન વાયુસેનાના પ્રવક્તા યુરી ઇહનાતે પુષ્ટિ આપી હતી કે રવિવારનો હુમલો યુક્રેન પર સંપૂર્ણ આક્રમણ શરૂ થયા પછીનો સૌથી મોટો રશિયન ડ્રોન હુમલો હતો. આ હુમલામાં રશિયાએ વિવિધ પ્રકારની 13 મિસાઇલો પણ છોડી હતી.
વાયુસેનાના એક નિવેદન મુજબ, યુક્રેને 747 રશિયન ડ્રોન અને ચાર મિસાઇલો તોડી પાડ્યા છે અથવા નિષ્ક્રિય કર્યા છે. રવિવાર સુધીમાં, યુક્રેનમાં 37 સ્થળોએ નવ મિસાઇલ હુમલા અને 56 ડ્રોન હુમલા થયા છે. આઠ સ્થળોએ તોડી પાડવામાં આવેલા ડ્રોન અને મિસાઇલોનો કાટમાળ પડ્યો છે.
કેબિનેટ મુખ્યાલય પર હુમલો
એસોસિએટેડ પ્રેસે અહેવાલ આપ્યો છે કે સરકારી ઇમારતની છત પરથી ધુમાડો નીકળ્યો છે, પરંતુ તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ધુમાડો હુમલાને કારણે નીકળ્યો છે કે અન્ય કોઈ કારણોસર. એવું માનવામાં આવે છે કે જો હુમલાને કારણે ધુમાડો નીકળ્યો હોય, તો રશિયાએ હવાઈ હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. રશિયાએ અગાઉ શહેરના કેન્દ્રમાં સરકારી ઇમારતોને નિશાન બનાવ્યા નથી.
આ ઇમારત યુક્રેનના મંત્રીમંડળનું મુખ્ય મથક છે, જ્યાં તેના મંત્રીઓના કાર્યાલયો આવેલા છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ આવ્યા બાદ પોલીસે ઇમારતમાં પ્રવેશ બંધ કરી દીધો છે. સત્તાવાર માહિતી અનુસાર, હુમલામાં બે લોકો માર્યા ગયા અને 15 ઘાયલ થયા.
યુક્રેનના પીએમ યુલિયા સ્વિરિડેન્કોએ કહ્યું- પ્રથમ વખત, દુશ્મનના હુમલામાં સરકારી ઇમારતને નુકસાન થયું છે. અમે ઇમારતોનું પુનર્નિર્માણ કરીશું, પરંતુ ગુમાવેલા જીવ પાછા લાવી શકાતા નથી.
કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે રશિયન ડ્રોનનો કાટમાળ સ્વિયાટોશિન્સ્કીમાં નવ માળની રહેણાંક ઇમારત અને ડાર્નિટ્સ્કીમાં ચાર માળની રહેણાંક ઇમારત પર પડ્યો હતો, જેના કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું.
શાંતિ પુનઃસ્થાપનના પ્રયાસો વચ્ચે હુમલો
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુરોપિયન નેતાઓએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુદ્ધનો અંત લાવવા માટે પગલાં લેવા માટે દબાણ વધાર્યું છે. અગાઉ, યુક્રેનના 26 સાથી દેશોએ યુદ્ધ સમાપ્ત થયા પછી 'આશ્વાસન દળ' તરીકે ત્યાં સૈનિકો તૈનાત કરવાનું વચન આપ્યું હતું.