PM Narendra Modi Gujarat Visit Schedule: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીએકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. 22 ફેબ્રુઆરી એટલેકે કાલથી તેઓ ગુજરાતના પ્રવાસે હશે. 22 અને 24-25 ફેબ્રુઆરીના રોજ તેઓ ગુજરાતમાં હશે જ્યારે 23 ફેબ્રુઆરીના રોજ વારાણસીના કાર્યક્રમમાં હાજર રહેશે. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપરાંત અમદાવાદ, નવસારી, દ્વારકા, રાજકોટની મુલાકાત દરમિયાન અનેક વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 22 ફેબ્રુઆરીનો કાર્યક્રમ
વડાપ્રધાન 22મી ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સુવર્ણજયંતીની ઉજવણીમાં સહભાગી થશે. લગભગ 12:45 વાગ્યે વડાપ્રધાન મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. વડાપ્રધાન બપોરે લગભગ 1 વાગે માહેસાણાના તરાભમાં એક જાહેર સમારંભમાં સહભાગી થશે, જ્યાં તેઓ રૂ. 8,350 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો દેશને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં તેઓ દેશને આશરે રૂ. 17,500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યો સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને શુભારંભ કરાવશે. વડાપ્રધાન સાંજે 6:15 વાગ્યે કાકરાપાર પરમાણુ વિદ્યુત મથકની મુલાકાત લેશે અને બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) દેશને સમર્પિત કરશે.
24 અને 25 ફેબ્રુઆરીનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી વારાણસીના પ્રવાસ બાદ 24 અને 25 ફેબ્રુઆરીએ ફરી ગુજરાત આવશે. આ બન્ને દિવસ દરમિયાન તેઓ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે અને વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. દ્વારકામાં તેઓ રાત્રી રોકાણ કરશે અને દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન કરશે. ત્યારબાદ તેઓ રાજકોટ આવશે. રાજકોટમાં એઇમ્સનું લોકાર્પણ કરશે અને જાહેરસભા સંબોધશે. રાજકોટમાં રોડ-શો પણ યોજાઇ શકે છે. પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
