PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન પીએમ મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તા પર વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે.
શહેર પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવ્યા મુજબ, આવતીકાલે સવારે 6 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ અને કૃપા રેસિડન્સીથી મોટેરા ટી સુધીના માર્ગ પર વાહનોની અવરજવર બંધ રહેશે.
જો કે આ દરમિયાન વાહન ચાલકો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે. જેમાં તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે. આ ઉપરાંત કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ જતા રસ્તા પર અવર-જવર કરી શકાશે.
આ સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોને સૂચન કરવામાં આવ્યું છે કે, આવતીકાલે VVIP મૂવમેન્ટ હોવાથી એરપોર્ટ રોડ અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ રોડ તેમજ એપોલો સર્કલ અને ઈન્દિરા બ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ તરફ ટ્રાફિકનો સામનો કરવો પડી શકે છે.
જણાવી દઈએ કે, આવતીકાલે PM મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યૂબિલી કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં વડાપ્રધાન એક લાખથી વધુ દૂધ ઉત્પાદક, પશુ પાલકો અને ખેડૂતોના સંમેલનને સંબોધન કરશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
