Ahmedabad: સરખેજના શકરી તળાવમાં બોટ પલટતા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે 2 કલાકની જહેમતે ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા

4 યુવકો કોર્પોરેશનની બોટ લઈને શકરી તળાવમાં ઉતર્યા હતા. જે પૈકી એક યુવક બહાર નીકળી ગયો અને બોટ સહેજ આગળ જતાં ઊંધી થઈ ગઈ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 02 Sep 2025 09:41 PM (IST)Updated: Tue 02 Sep 2025 09:41 PM (IST)
ahmedabad-news-boat-capsized-in-shakari-lake-at-sarkhed-3-drown-to-death-596321
HIGHLIGHTS
  • મૃતક યુવાનોના પરિવારજનોનું હૈયાફાટ રૂદન
  • અંધારું થઈ જતાં ફ્લડ લાઈટની મદદથી રેસ્ક્યુ હાથ ધરાયું

Ahmedabad: શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં એક બોટ ઊંધી થઈ જતાં ત્રણ યુવકોનું ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા એક પછી એક એમ ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને સરખેજના શકરી તળાવમાં અંદર ઉતર્યા હતા. જ્યાં સહેજ આગળ જતાં એક યુવક બોટમાંથી બહાર આવી ગયો હતો, પરંતુ અન્ય ત્રણ યુવકો બોટ સાથે તળાવમાં અંદર ગયા હતા. જો કે આગળ જતાં અચાનક બોટ ઉંધી વળી જતાં તેમાં બેઠેલા ત્રણેય યુવકો તળાવમાં ખાબક્યા હતા.

અંધારામાં ફ્લડ લાઈટની મદદથી ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઑપરેશન

આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા અંધારૂં થઈ ગયું હોવા છતાં ફ્લડ લાઈટની મદદથી 2 કલાકની જહેમત બાદ એક પછી એક ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ પપ્પુ ચાવડા, વિશાલ ચાવડા અને રાધે તરીકે થઈ છે. હાલ તો ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.