Choti Diwali 2024: આ વર્ષે આવતીકાલે એટલે કે 30 ઑક્ટોબર બુધવારના રોજ કાળી ચૌદશનો તહેવાર આવી રહ્યો છે, જેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મૃત્યુના દેવતા 'યમરાજ'ની પૂજા કરવામાં આવે છે. જેનાથી મૃત્યુ બાદ નરકમાં જવાથી બચી શકાય તેમ માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતા મુજબ નરક ચતુર્દશીનું આગવું મહત્ત્વ હોય છે. શું તમે જાણો છો કે, નરક ચતુર્દશી અર્થાત કાળી ચૌદશને નાની દિવાળી કેમ કહેવામાં આવે છે અને આ પર્વ કેમ ઉજવવામાં આવે છે?
આ પણ વાંચો
એવું કહેવાય છે કે, આ દિવસે મૃત્યના દેવતા 'યમ'ની પૂજા કરવાથી અકાળે અવસાનથી બચી શકાય છે. આ સાથે જ મૃત્યુ બાદ નરકમાં જવાથી બચી પણ શકાય છે. આ દિવસે સ્નાન કર્યા બાદ ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી સૌદર્યની પ્રાપ્તિ થાય છે.
અન્ય એક માન્યતા અનુસાર, રામ ભક્ત હનુમાને માતા અંજનીના ગર્ભથી આજ દિવસે જન્મ લીધો હતો. આથી જ આ દિવસને હનુમાન જયંતિ તરીકે પણ મનાવવામાં આવે છે.
નાની દીવાળી અર્થાત કાળી ચૌદશનો પર્વ ધનતેરસના બીજા દિવસે મનાવવામાં આવે છે, જે પાંચ દિવસીય પર્વનો બીજો દિવસ હોય છે. કાળી ચૌદશ પછીના દિવસે દિપોત્સવ મનાવવામાં આવે છે.
હિન્દુ કેલેન્ડર અનુસાર, નરક ચતુર્દશીનો પર્વ કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવવામાં આવે છે. હકીકતમાં નરક ચતુર્દશીને નાની દિવાળી એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તે દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ દિવસે પણ ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે. આ દિવસે મુખ્યત્વે 14 દીવા પ્રકટાવવાની પરંપરા છે.
