Vagh Baras 2025 Date and Time: હિન્દુ પંચાંગ અનુસાર, આસો મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ વાઘ બારસનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તેને વાઘ બારસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને વાસુ બારસ તરીકે મનાવવામાં આવે છે અને તે દિવાળી (Diwali 2025 Gujarati Calendar) ના પાંચ દિવસીય ઉત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. આ દિવસને ગોવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ગાય અને વાછરડાની પૂજાનું વિશેષ મહત્વ છે. આ આર્ટિકલમાં જાણો વાઘ બારસની તારીખ, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત.
વાઘ બારસ ક્યારે છે? (Vagh Baras 2025 Date)
આ વર્ષે વાઘ બારસની ઉજવણી 17 ઓક્ટોબર, શુક્રવારના રોજ કરવામાં આવશે.
- દ્વાદશી તિથિ પ્રારંભ: 17 ઓક્ટોબર, 2025, સવારે 11:12 વાગ્યે.
- દ્વાદશી તિથિ સમાપ્ત: 18 ઓક્ટોબર, 2025, બપોરે 12:18 વાગ્યે.
વાઘ બારસનું મહત્વ: વેપારીઓ માટે ખાસ દિવસ
વાઘ બારસનો દિવસ ખાસ કરીને વેપારી વર્ગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. આ દિવસે વેપારીઓ તેમના જૂના હિસાબ-કિતાબ પૂરા કરે છે અને તમામ દેવાની ચૂકવણી કરીને નવા ચોપડાની શરૂઆત કરે છે. આ પરંપરા દેવામાંથી મુક્તિ મેળવીને નવા વર્ષની શરૂઆત કરવાનો સંકેત આપે છે.
ગોવત્સ દ્વાદશી: ગાય અને વાછરડાની પૂજા
વાઘ બારસના દિવસે જ ગોવત્સ દ્વાદશી ઉજવાય છે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. આ વ્રત બાળકોના કલ્યાણ અને સુખાકારી માટે કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરનારાઓ ઘઉં અને દૂધના ઉત્પાદનો ખાવાનું ટાળે છે. પૂજા બાદ ગાય અને વાછરડાને ઘઉંથી બનેલી વસ્તુઓ ખવડાવવામાં આવે છે. આ દિવસને નંદિની વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દિવસે સાંજના સમયે ગાય માતા અને તેના વાછરડાની વિધિવત પૂજા કરીને આશીર્વાદ મેળવવાથી જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે.
વાઘ બારસ શુભ મુહૂર્ત (Vagh Baras 2025 Muhurat)
પંચાંગ મુજબ, વાઘ બારસ અને ગોવત્સ દ્વાદશીની પૂજા માટે પ્રદોષકાળ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- પ્રદોષકાળ મુહૂર્ત - 06:10 PM થી 08:39 PM (સમય - 02 કલાક 29 મિનિટ)
- બ્રહ્મ મુહૂર્ત - 04:55 AM થી 05:45 AM
- પ્રાત: સંધ્યા - 05:20 AM થી 06:34 AM
- અભિજિત - 11:59 AM થી 12:46 PM
- વિજયા મુહૂર્ત - 02:18 PM થી 03:05 PM
- ગોધુલી મુહૂર્ત - સાંજે 06:10 થી 06:35 સુધી પીએમ
- સાંય સંધ્યા - સાંજે 06:10 થી સાંજે 07:25 સુધી
- અમૃત કલામ - 11:26 AM થી 01:07 PM
- નિશિતા મુહૂર્ત - 11:58 PM થી 12:47 AM, 18 ઓક્ટોબર
વાઘ બારસ/ગોવત્સ દ્વાદશી 2025 પૂજા વિધિ (Vagh Baras 2025 Puja Vidhi)
વાઘ બારસના પાવન દિવસે ગાયને પવિત્ર જળથી સ્નાન કરાવી તેમના કપાળ પર સિંદૂર લગાવવામાં આવે છે. ત્યારબાદ ફૂલમાળાઓ અને સુંદર વસ્ત્રોથી ગાયનો શણગાર કરવામાં આવે છે. જ્યાં ગાય ઉપલબ્ધ ન હોય ત્યાં ભક્તો ગાય અને વાછરડાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરે છે. મૂર્તિ પર કુમકુમ અને હળદર અર્પણ કર્યા બાદ સાંજે ગાયની પૂજા તથા આરતી કરવામાં આવે છે.
આ પ્રસંગે ગાયને મગ, ઘઉં જેવા વિવિધ પ્રસાદ ખવડાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની ઉપાસના કરવાથી જીવનના દુઃખ દૂર થાય છે અને સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે. મહિલાઓ પોતાના સંતાનના દીર્ઘાયુષ્ય માટે આ દિવસે વ્રત પાળે છે.
