Cockroach Janata Party: કેરળ ભાજપ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરનો દાવો- 'કોકરોચ જનતા પાર્ટી દેશને અસ્થિર કરવાની કોશિશનો એક ભાગ'

મોદી દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢીને વિકાસના પંથે લઈ ગયા. જેનાથી અનેક દેશ વિરોધી તત્વોના પેટમાં તેલ રેડાયું છે. આથી AI અને બોટ્સ દ્વારા સોશિયલ મીડિયામાં નકલી નેરેટિવ ઉભુ કરાયું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 May 2026 05:47 PM (IST)Updated: Sat, 23 May 2026 05:47 PM (IST)
keral-bjp-chief-rajeev-chandrasekhar-claims-cockroach-janata-party-part-of-an-attempt-to-destabilize-the-country
HIGHLIGHTS
  • CJPનો મુખ્ય ઉદ્દેશ્ય નરેન્દ્ર મોદીની છબી ખરડવાનો અને જનતાને પ્રભાવિત કરવાનો

Cockroach Janata Party: છેલ્લા કેટલાક દિવસોથી કૉકરોચ જનતા પાર્ટી (CJP)ની ચર્ચાએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી આ પાર્ટીને લઈને કેરળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્ર શેખરે મોટો દાવો કર્યો છે.

રાજીવ ચંદ્રશેખરે આરોપ લગાવતા જણાવ્યું કે, આ વ્યંગાત્મક ડિજિટલ સંગઠન ભારતને અસ્થિર કરવા માટે સરહદ પારથી ચલાવવામાં આવી રહેલું ઈન્ફ્લુએન્સ ઑપરેશન છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરવાનો છે.

ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોકરોચ જનતા પાર્ટીને વિપક્ષના ઈશારે કામ કરતી રણનીતિનો ભાગ ગણાવ્યો છે. આ અભિયાન વિપક્ષના કેટલાક વર્ગોની મદદથી સરહદની પારથી ચલાવવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરડાવવાનો અને પ્રજાને પ્રભાવિત કરવાનો છે.

મોદીના નેત્વૃત્વમાં ભારતના વિકાસથી અનેક દેશોના પેટમાં તેલ રેડાયું

રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે દેશને કપરી સ્થિતિમાં બહાર કાઢ્યો છે. વડાપ્રધાને દેશની આર્થિક પ્રગતિ કરવા સાથે ભારતને સુરક્ષિત અને સક્ષમ બનાવ્યો છે. મોદીના નેતૃત્વમાં ભારતના વિકાસથી અનેક દેશોને તકલીફ થઈ રહી છે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઈન્ટરનેટ બોટ્સ દ્વારા નકલી નેરેટિવ ઉભુ કરવામાં આવી રહ્યું છે.

દેશ અને દુનિયા સમક્ષ આવી રહેલા પડકારોનો એકજૂટ થઈને સામનો કરવો, એજ આજના સમયની માંગ છે. આજ ખરા નેતૃત્વની ઓળખ છે. કોઈ કૉકરોચ, કોઈ તુચ્છ ભારતીય વિપક્ષના નેતા, કોઈ મોદીને નફરત કરનારા વિદેશી હિત ધરાવતું જૂથ ભારતને વિકસિત બનાવવાના સંકલ્પને ડગમગાવી નહીં શકે.