Mango Prices In Talala: સૌરાષ્ટ્રમાં ડીઝલની અછતથી કેસર કેરીના ભાવ તૂટ્યા, બૉક્સે રૂ.250નો ઘટાડો નોંધાતા ખેડૂતોને આર્થિક ફટકો

બહારના જિલ્લા અને રાજ્યોથી આવતા વેપારીઓને માલની હેરફેર માટે સમયસર વાહનો ના મળતા તેઓ તલાલા યાર્ડમાં આવવાનું ટાળી રહ્યા છે. જેથી હરાજી પર માઠી અસર પહોંચે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 May 2026 04:43 PM (IST)Updated: Sat, 23 May 2026 04:43 PM (IST)
kesar-mango-prices-fall-in-talala-yard-due-to-diesel-shortage-in-saurashtra
HIGHLIGHTS
  • તાલાલા યાર્ડમાં કેરીની પુષ્કળ આવક છતાં વાહનો ન મળતાં વેપારીઓએ સ્ટોક ઉપાડવાનું ઓછું કર્યું

Mango Prices in Talala: ગીર સોમનાથ જિલ્લાના પ્રખ્યાત તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ કેસર કેરીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો મોટા પાયે પોતાની ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેસર કેરી વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે, જેના કારણે આખું યાર્ડ કેરીના બોક્સથી ઉભરાઈ ગયું છે.

જો કે આ સોનેરી સિઝનની વચ્ચે એક મોટું વિઘ્ન સામે આવ્યું છે. સમગ્ર પંથકમાં સર્જાયેલી ડીઝલની અછતની સીધી અને વિપરીત અસર કેસર કેરીના ખરીદ-વેચાણ પર જોવા મળી રહી છે. ડીઝલની તીવ્ર અછતના કારણે કેસર કેરીના વેપારને અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક ફટકો પડ્યો છે.

ડીઝલ ના મળવાના ડરથી અન્ય રાજ્યો અને જિલ્લાના વેપારીઓએ યાર્ડમાં આવવાનું માંડી વાળ્યું

ડીઝલની અછત એટલી હદે વકરી છે કે, કેરીની ખરીદી કરવા આવતા બહારના જિલ્લા અને રાજ્યોના વેપારીઓને માલની હેરફેર કરવા માટે સમયસર વાહનો (ટ્રક કે છોટા હાથી) મળી રહ્યા નથી. વાહનો ન મળવાના કારણે અથવા ઇંધણ ન મળવાના ડરથી ઘણા મોટા વેપારીઓએ તાલાલા યાર્ડમાં આવવાનું જ ટાળ્યું છે.

માર્કેટમાં ખરીદદારો (વેપારીઓ) ની સંખ્યા ઓછી થવાના કારણે હરાજી પર માઠી અસર પડી છે. જેના પરિણામે કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવમાં સીધો 250 રૂપિયા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જે ખેડૂતો માટે મોટું આર્થિક નુકસાન સાબિત થઈ રહ્યું છે.

પાક બગડવાની ભીતિને પગલે સ્પેશિયલ કેસમાં ડીઝલનો જથ્થો ફાળવવા રજૂઆત

કેરી એ નાશવંત ફળ હોવાથી જો તેને સમયસર માર્કેટમાં ન પહોંચાડવામાં આવે તો આખો પાક બગડી જવાની ભીતિ રહે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાલાલા APMCના સત્તાધીશો તાત્કાલિક એક્શનમાં આવ્યા છે.

યાર્ડ પ્રશાસન દ્વારા વેપારીઓ અને પરિવહન સાથે સંકળાયેલા વાહનો માટે સ્પેશિયલ કેસમાં ઇંધણ (ડીઝલ) નો જથ્થો ફાળવવામાં આવે તેવી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. આ ગૂંચ ઉકેલવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને યાર્ડના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ કરાયો છે, જેથી વહેલી તકે ડીઝલની વ્યવસ્થા કરી કેસર કેરીના વેપારને ફરી પાટા પર લાવી શકાય.