Ghatkopar Tourist Places: ભારતના દરેક શહેરની એક આગવી વિશેષતા છે. એમાં પણ ગુજરાતને અડીને આવેલ મુંબઈને સપનાઓનું શહેર કહેવામાં આવે છે. દેશના આર્થિક પાટનગર ગણાતા આ શહેરમાં દરરોજ દેશભરમાંથી લાખો લોકો પહોંચે છે. એમાં પણ મુંબઈ ગુજરાતની નજીક આવેલું હોવાથી લોકો વિકેન્ડ અથવા તો મિની વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવતા જ હોય છે. મુંબઈમાં આમ તો રમણીય દરિયા કિનારો, બૉલિવૂડ સેલેબ્સના બંગલા, ગગનચુંબી ઈમારતો, મંદિરો સહિત અનેક સ્થળો જોવા લાયક છે. જો કે આજે અમે તમને મુંબઈના એક પરા ઘાટકોપરમાં આવેલા જોવા લાયક સ્થળો વિશે જણાવીશું.
છેદાનગર રિઝર્વ ફોરેસ્ટ
જો તમે મુંબઈમાં કોઈ શાંત સ્થળ શોધી રહ્યા હોવ, તો છેદાનગર રિઝર્વ ફોરેસ્ટ બેસ્ટ ઑપ્શન છે. જે ચોતરફ લીલોતરીઓથી ઘેરાયેલો છે. જ્યાં અલગ-અલગ પ્રકારના ઝાડ જોવા મળે છે. અહીં તમને પક્ષીઓની અલગ-અલગ પ્રજાતિ પણ જોવા મળી શકે છે.
પવઈ લેક
આ મુંબઈમાં આવેલ એક માત્ર મીઠા પાણીનું સરોવર છે. ઘાટકોપરથી આ લેક માત્ર 11 કિમીના અંતરે આવેલું છે. આથી અહીં તમે ઓછા સમયમાં પહોંચી શકો છો. જેવા તમે લેકની નજીક પહોંચશો, તે સાથે જ તમને કંઈક અલગ જ નજારો જોવા મળશે. મુંબઈના કૉન્ક્રિટના જંગલો વચ્ચે પાણીથી છલોછલ સરોવર તમારી આંખોને ઠંડકનો અનુભવ કરાવશે. અહીં મોટાભાગે લોકો સાંજના સમયે આવવાનું પસંદ કરતા હોય છે, કારણ કે આ સમયે સૂર્યાસ્તનો સુંદર નજારો જોવા મળે છે.
ડૉ બાબા સાહેબ આંબેડકર ગાર્ડન
જો તમે સહપરિવાર ક્યાંક ફરવા નીકળ્યા હોવ તો ડૉ બાબા સાહેબ આંબેડકર ગાર્ડનને પણ તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો. ઘાટકોપરથી આ ગાર્ડન માત્ર 18 કિમી દૂર છે, જ્યાં અડધા થી પોણા કલાકમાં સરળતાથી પહોંચી જશો. આ ગાર્ડનમાં તમે બાળકો સાથે સાંજના સમયે જશો તો વધારે મજા આવશે.
ઘાટકોપર મૉલ
ઘાટકોપર સ્થિત મૉલ પણ ફરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આ મૉલની ખાસ વાત એ છે કે, તેમાં હંમેશા કોઈને કોઈ પ્રદર્શન રાખવામાં આવે છે. જો તમે તહેવારો દરમિયાન અહીં આવશો, તો કંઈક અલગ જ નજારો જોવા મળશે. આ મૉલમાં સ્નૉ રાઈડની પણ મજા માણી શકશો.
