Get Rid Of Flies: ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમી શરૂ થતાં જ ઘરમાં માખીઓનો ત્રાસ વધી જાય છે. ઘર ગમે તેટલું ચોખ્ખુ રાખીએ તો પણ માખીઓના આતંકમાંથી મુક્તિ નથી મળતી. ખાસ કરીને રસોડા અને ડાઈનિંગ એરિયામાં માખીઓનો ઉપદ્રવ વધારે ખતરનાક નીવડી શકે છે, કારણ કે માખીઓ ખોરાક પર બેસીને બેક્ટેરિયા ફેલાવે છે. આમ માખીઓ ગંદકી ફેલાવતી હોવાથી ઘરના સભ્યો બીમાર પડવાનો ખતરો વધી જાય છે.
જો તમારા ઘરમાં પણ માખીઓ આતંક મચાવી રહી હોય, તો અહીં અમે તમારા માટે કેટલાક આસાન ઉપાયો લઈને આવ્યા છીએ. જેને અજમાવીને તમે સરળતાથી માખીઓના ત્રાસમાંથી છૂટકારો મેળવી શકો છે. આ માટે તમારે બીજું કઈ કરવાની જરૂર નથી, માત્ર પોતું કરતી વખતે પાણીમાં કેટલીક દેશી વસ્તુઓ જ ઉમેરવાની રહેશે. આવા પાણીથી પોતું મારવાથી મિનિટોમાં માખીઓ ઘરમાંથી ગાયબ થઈ જશે.
ઘરમાંથી માખીઓને દૂર ભગાડવાના આસાન ઉપાય Tips To Get Rid of House Flies
વિનેગરઃ જો તમારા ઘરમાં પણ માખીઓ વધી ગઈ હોય, તો તમારે પોતું મારવાના પાણીમાં થોડું વિનેગર મિક્સ કરી દેવું જોઈએ. વિનેગરની તીવ્ર ગંધ માખીઓને નથી ગમતી. આથી આવા પાણીથી પોતું મારવાથી માખીઓ દૂર ભાગશે. આ સાથે જ અન્ય બેક્ટેરિયાનો નાશ કરવામાં પણ મદદ મળશે.
લીંબુનો રસઃ માખીઓને દૂર ભગાડવા માટે લીંબુનો રસ પણ અસરકાર ઉપાય છે. લીંબુની ફ્રેશ સુગંધ આપણને ભલે ગમતી હોય, પરંતુ માખીઓ તેનાથી દૂર ભાગે છે. આથી પોતું મારવાના પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પોતું કરવાથી ઘરમાં તાજગીનો અહેસાસ પણ થશે અને માખીઓ પણ નહીં આવે.
ફટકડીઃ માખીઓને દૂર ભગાડવા માટે ફટકડીનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે ફટકડીને પાણીમાં મિક્સ કરીને પોતું મારવાથી ઘરમાંથી માત્ર બેક્ટેરિયા જ નાશ નથી પામતા, પરંતુ તેની ગંધથી માખીઓને પણ ઘરથી દૂર રાખવામાં મદદ મળે છે.
મીઠુંઃ જો પાણીમાં થોડું મીઠું ઉમેરીને પછી તેનું પોતું મારવામાં આવે, તો માખીઓ સરળતાથી દૂર ભાગે છે. મીઠામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. આથી મીઠાવાળા પાણીનું પોતું મારવાથી ટાઈલ્સ તો સાફ થાય જ છે, પરંતુ આ સાથે માખીઓનો ઉપદ્રવ પણ ઘટે છે.
તમાલ પત્રઃ જો પોતું મારવાના પાણીમાં થોડા તમાલ પત્ર ઉકાળીને તેનું પાણી ઉમેરી દેવામાં આવે અથવા તો લવિંગનું તેલ નાંખી શકાય છે. જેની તીવ્ર સુગંધથી માખીઓ દૂર ભાગવા લાગે છે.
આમ માખીઓના ત્રાસથી છૂટકારો મેળવવા માટે મોંઘા કેમિકલની જરૂર નથી. અહીં જણાવેલ ઘરમાં રહેલ રોજિંદી વસ્તુઓ ઉમેરીને પોતું મારવાથી તમે મિનિટોમાં ઘરને માખીઓથી મુક્ત બનાવી શકો છો.
