સોમનાથમાં વિક્રમજનક 'શ્રાવણ મહોત્સવ 2026'નું સમાપન, 30 દિવસમાં 22.61 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કર્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 13 Sep 2026 12:00 AM (IST)Updated: Sun, 13 Sep 2026 12:00 AM (IST)
record-breaking-shravan-mahotsav-2026-at-somnath-2261-lakh-devotees-visit-in-30-days

Somnath Shravan Mahotsav 2026: સોમનાથ ખાતે શ્રાવણ મહોત્સવ 2026 13 ઓગસ્ટ 2026 થી તા.11 સપ્ટેબર 2026 દરમિયાન હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો. શ્રાવણ માસની પુર્ણીમા, ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગિયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો ભારે ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યા હતા.

આ શ્રાવણ યાત્રીઓની સંખ્યા, પૂજા કર્મ, 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ, સહિતના વિક્રમ જનક માનકોને કારણે વિશેષ રહ્યો હતો, જેમાં ટ્રસ્ટની પ્રો-એક્ટિવ કામગીરીને કારણે યાત્રી સુવિધાઓ સુલભ બની હતી.

સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને શ્રાવણ માસમાં કુલ 22,61,597 ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ તીર્થમાં ખાસ કરીને શ્રાવણના ચારેય સોમવારોએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જેમાં પ્રથમ સોમવારે 1,64,166, દ્વિતીય સોમવારે 1,42,010, તૃતીય સોમવારે 87,371 અને ચતુર્થ સોમવારે 1,66,802 યાત્રિકોએ દર્શન કર્યા હતા.

આ સાથે જન્માષ્ટમી પર શ્રાવણની સર્વાધિક 1,72,755 જેટલી દર્શનાર્થીઓની મેદની ઉમટી હતી. જ્યારે જન્માષ્ટમી વેકેશન (4 થી 7 સપ્ટેમ્બર) દરમિયાન 6,49,451 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા હતા. માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિમાં યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.

શ્રાવણના પ્રત્યેક સોમવારે સોમનાથ મંદિર પરિસરને સવારના 03:00 વાગ્યાથી ખુલ્લુ મુકવામાં આવતું હતું. જેમાં ટ્રસ્ટના તમામ અધિકારીઓ તેમજ પોલીસ વિભાગની ટીમ ખડે પગે રહી વહેલી સવારે આવનાર શ્રદ્ધાળુ ચેકિંગ અને સામાન જમા કરાવવા સહિતની પ્રક્રિયાઓ દર્શન ખુલે તે પેહલા પૂર્ણ થઈ જાય અને મોટી સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુ સરળતાપૂર્વક દર્શન કરી શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું, વિશેષ રૂપે ઝીકઝેક ક્યુ મેનેજમેન્ટ અને અલગ અલગ ક્લસ્ટરમાં યાત્રીઓની સંખ્યાનું નિયંત્રણ કરવાને કારણે વધતી યાત્રી સંખ્યા વચ્ચે પણ ખૂબ સુચારુ સુંદર આયોજન સાથે દર્શનાર્થીઓ દર્શન પામ્યા હતા.

સોમનાથ મંદિરની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ વર્ષોથી આદર્શ રીતે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને સેવા પૂરી પાડી રહી છે. વિશેષ સ્ટાફ અને સ્વયંસેવકો ગોઠવીને સીનીયર સીટીઝનને સામેથી અપ્રોચ કરી તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ જેવી કે ગોલ્ફકાર્ટ, અટેન્ડી, વીલચેર વિશે માહિતગાર કરી તેનો લાભ લેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

જેના ફળ સ્વરૂપે 21,000 થી વધુ સીનીયર સીટીઝનો અને જરૂરિયાતમંદોને ટ્રસ્ટ દ્વારા સુચારું દર્શન કરાવવામાં આવ્યા હતા. પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટ હોય કે પછી મનો દિવ્યાંગ સેવા સંસ્થાઓ શ્રાવણમાં સોમનાથના દ્વારે આવનાર પ્રત્યેકને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા "દિવ્યાંગના નાથ સોમનાથ" ના સૂત્ર સાથે ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવી હતી.

શ્રાવણ માસ પર્યન્ત છેલ્લા 75 વર્ષમાં સૌથી વધુ દેવાધિદેવ સોમનાથ મંદિર પર ભક્તો દ્વારા 1109 ધ્વજારોહણ કરવામાં આવેલ જેમાં જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ વિભાગ, સોમેશ્વર પૂજા કરાવતા બ્રાહ્મણો, સફાઈ કામદારો, ટ્રસ્ટના કર્મચારીઓ સહિત દરેક તબક્કાના ભક્તો જોડાયા હતા. જેથી પૂજાના પુણ્યની સાથે સાથે ધ્વજા બનાવતી મહિલાઓ, ધ્વજા ચડાવતા સેવાકર્મી, ઢોલ શરણાઈ વાદકો, ફૂલ અને પૂજાપો પૂરો પાડનાર માળી, સહિતના મોટી સંખ્યામાં લાભાર્થીઓને રોજગાર મળ્યો હતો.

આ ઉપરાંત રેકોર્ડબ્રેક 1394 સોમેશ્વર મહાપૂજન થયા હતા, સાથે 8775 રૂદ્રાભિષેક પાઠ સહિતની પુજાવિધિ સાથે શ્રદ્ધાળુ પરીવારો ધન્ય બનેલા હતા. આ ઉપરાંત ભક્તો દ્વારા 4031 ગંગાજળ અભિષેક અને 2919 બ્રાહ્મણ ભોજન કરાવવામાં આવ્યા હતા.

પ્રથમ વખત સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૩૦ દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી 19,700 જેટલા છાણા ગૌપાલકો અને ગ્રામીણ ભક્તો પાસેથી દાન સ્વરૂપે એકઠા કરવામાં આવ્યા હતા. જેની દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓએ પવિત્ર યજ્ઞ કુંડો માં આહુતિ આપી હતી.

ટ્રસ્ટ દ્વારા ધોતી પહેરીને યજ્ઞમાં ભક્તો જોડાઈ શકે તેની વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. જેથી મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 11.17 લાખથી વધુ યજ્ઞ આહુતિ અર્પણ કરવામાં આવી હતી જે પોતાનામાં એક વિક્રમ છે.

સોમનાથ ટ્રસ્ટના પૂજાવિધિ કેન્દ્રો ખાતે ભક્તો દ્વારા નોંધાયેલ પૂજાઓ મળી કુલ 43.43 લાખ મહામૃત્યુંજય જાપ અને 38 લાખ સંપુટ મહામૃત્યુંજય જાપ સંપન્ન કરવામાં આવ્યા હતા.

સોમનાથ મહાદેવના દર્શને આવનાર કોઈપણ ભક્ત ભૂખ્યું ન જાય એ ધ્યેય વાક્ય બનાવીને સોમનાથ ટ્રસ્ટે વધુમાં વધુ ભક્તોને ભોજન પ્રસાદનો લાભ આપ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલય અને ભંડારા તેમજ સ્થાનિક સામાજિક સંસ્થાઓ દ્વારા આયોજિત ભંડારા માંથી 4.50 લાખ થી વધુ ભક્તોએ પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી.

સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન, અને IGNCA કૃત 'વંદે સોમનાથ' કાર્યક્રમ પોતાના બીજા વર્ષમાં માત્ર એક કલા મહોત્સવ ન રહી સોમનાથની ભૂમિ પર સાંસ્કૃતિક દિવ્યતા અને કલાત્મક વારસાની પુનઃપ્રતિષ્ઠા રૂપ મહોત્સવ બની ચૂક્યો છે.

ભારતીય સંસ્કૃતિ અને ગૌરવના પુનઃ સ્થાપક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી સોમનાથ તીર્થ ફક્ત ધાર્મિક જ નહીં, પરંતુ સંસ્કૃતિ ગૌરવમય વારસાનું કેન્દ્ર બની રહ્યું છે – જ્યાં ભક્તિ, ભવ્ય વારસો અને ભારતીયતા એકસાથે અવતરિત થયા હતા.

ઇતિહાસમાં જેમ સોમનાથમાં હજારો નૃત્યાંગનાઓ દ્વારા મહાદેવની આરાધના થતી, તે સોમનાથનો કલાત્મક સ્વર્ણિમ સતયુગ આ કાર્યક્રમ થકી ફરી સ્થાપિત થઈ ચૂક્યો હોય તેવી લાગણી સર્જાઈ હતી.