PM Modi Somnath Temple Visit: પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ આજે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના અનોખા સંગમની સાક્ષી બની છે. સોમનાથ વિરાસતના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત "સોમનાથ અમૃતપર્વ-2026" માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ પધાર્યા હતા. જામનગરથી હવાઈ માર્ગે સોમનાથ હેલિપેડ ખાતે ઉતરાણ કર્યા બાદ વડાપ્રધાને હેલિપેડથી વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી એક ભવ્ય રોડ-શો યોજ્યો હતો, જેમાં જનમેદનીએ વડાપ્રધાનનું ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું.
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi જીનો ભવ્ય રોડ શૉ તેમજ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા. #SomnathVirasatK75Varsh https://t.co/s8wi8ZVxdc
— BJP Gujarat (@BJP4Gujarat) May 11, 2026
હેલિપેડથી મંદિર સુધી જનતાનું અભિવાદન ઝીલ્યું
વડાપ્રધાન મોદીનું હેલિપેડ પર આગમન થતા જ વાતાવરણ 'મોદી-મોદી' અને 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાને ખુલ્લી જીપમાં સવાર થઈને હેલિપેડથી વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ-શો યોજ્યો હતો. રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં ઉમટેલા લોકોના ટોળા પર વડાપ્રધાને હાથ હલાવીને સ્મિત સાથે અભિવાદન ઝીલ્યું હતું. આ રોડ-શોમાં મહિલાઓ, વૃદ્ધો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સરદાર પટેલને પુષ્પાંજલિ અને મહાદેવની વિશેષ પૂજા
રોડ-શો બાદ વડાપ્રધાન સોમનાથ મંદિર પરિસર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે સૌપ્રથમ સોમનાથ મંદિરના પુન: નિર્માણના સ્વપ્નદ્રષ્ટા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં જઈને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજા અને અભિષેક કર્યો હતો. તેમણે જન-જનની સુખાકારી, વિશ્વ શાંતિ અને ભારતની અવિરત પ્રગતિ માટે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડાપ્રધાનની સાથે જોડાયા હતા.
આ રોડ શો ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિના દર્શન પણ જોવા મળ્યા હતા, જેમાં દેશના ગુજરાત, બંગાળ રાજ્ય સહિત ઉત્તર અને દક્ષિણ ભારત અને પૂર્વત્તરના રાજ્યોના રાજ્યોના લોકનૃત્યોની પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણને આનંદ- ઉત્સાહથી તરબતર થયું હતું. સમગ્ર રોડ શોના રૂટ પર 12 જેટલા સાંસ્કૃતિક મંચ પરથી આ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ કલાકારોએ કથકલી, મોહિનીઅટ્ટમ, મેર રાસ, નટરાજ/ શિવ રાસ, ગરબા ટિપ્પણી નૃત્ય, રાઠવા નૃત્ય મરાઠી, આસામ, બંગાળ સહિતના રાજ્યોના લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. આમ, રોડ શોની સાથે એક ભારત -શ્રેષ્ઠ ભારત નેમ અને ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત પણ ઉજાગર થઈ હતી.
અમૃતપર્વની વિશિષ્ટ ઉજવણી: કુંભાભિષેક અને ધ્વજારોહણ
સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણીના આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાનના હસ્તે સોમનાથ મંદિરના શિખર પર કુંભાભિષેક અને ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાને મંદિરના વિકાસ અને સુરક્ષા અંગેની સમીક્ષા પણ કરી હતી.
આકાશમાં 'સૂર્યકિરણ'નો દિલધડક એર શો
ભક્તિમય માહોલમાં રોમાંચ ઉમેરતા, ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ 'સૂર્યકિરણ એક્રોબેટિક્સ ટીમ' દ્વારા સોમનાથના આકાશમાં અદભૂત એર શો યોજાયો હતો. વાયુસેનાના વિમાનોએ નભમાં વિવિધ કરતબો બતાવીને ઉપસ્થિત જનતાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સોમનાથના સમુદ્ર કિનારે આ દિલધડક કરતબો જોઈને લોકોમાં દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો.
સદભાવના ગ્રાઉન્ડ પર જનસભા
મંદિર પરિસરમાં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે સોમનાથ મંદિરના ઈતિહાસ અને ભારતની અસ્મિતાના પુનરુત્થાન અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતની અજેય ભાવનાનું પ્રતિક છે.
ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને રોડ શો રૂટ પર છાશ અને ઠંડા પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું. રોડ શો દરમિયાન લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સાથે જ એમ્બ્યુલન્સ સહિતની તાત્કાલિક આરોગ્ય સેવાઓ અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
