Gir Somnath: દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી પધાર્યા હતા. તેઓએ આશુતોષ ભગવાન સોમનાથના ભાવપૂર્વક દર્શન કરીને પૂજન સામગ્રી અર્પણ કરી હતી.
ભક્તિમય વાતાવરણમાં મહાપૂજા અને જલાભિષેક:
આ પ્રસંગે અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. તેઓએ મહાપૂજાનો સંકલ્પ કરી સોમનાથજીને પૂજા સામગ્રી અર્પણ કરી હતી. ભક્તિભાવ સાથે તેઓએ રાષ્ટ્રની ઉન્નતિ અને લોકકલ્યાણ માટે મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા.
સૂર્યનારાયણ અને ગણેશજીના દર્શન:
મુખ્ય મંદિરમાં દર્શન કર્યા બાદ અનંત અંબાણીએ સમુદ્ર કિનારે જઈ સૂર્યનારાયણના પણ દર્શન કર્યા હતા અને પ્રકૃતિ સાથે જોડાયેલા આ દિવ્ય તીર્થધામની શાંતિનો અનુભવ કર્યો હતો. જે બાદ તેઓએ શ્રી કપર્દી વિનાયક ગણેશજીના મંદિરે જઈ વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ લીધા હતા.
આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટ તરફથી તેમને સ્મૃતિચિહ્ન તરીકે સોમનાથ મહાદેવનું ચિત્ર અને મહાદેવનો પવિત્ર પ્રસાદ અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે શ્રી સોમનાથ તીર્થમાં યાત્રી સુવિધાઓની ઉતરોત્તર વૃદ્ધિ થઈ રહેલ છે, ત્યારે યાત્રિલક્ષી પ્રકલ્પો માટે તેઓએ રૂ. 05 કરોડ શિવાર્પણ કરેલ હતા.
