Gujarat Inspirational Story: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના સામતેર ગામના મેઘનાથી પરિવારે મુશ્કેલીઓ સામે અડગ રહીને એક અનુકરણીય અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતા આ પરિવારના ત્રણ સંતાનોએ ઉચ્ચ અભ્યાસ મેળવીને મેડિકલ ક્ષેત્રે સફળતા હાંસલ કરી છે અને ડોક્ટર બન્યા છે. નાની વયે જ પિતાનું છત્ર ગુમાવી દીધા બાદ પણ માતાની મક્કમ મનોદશા અને સંતાનોની અતૂટ સખત મહેનતના બળે આ ગૌરવવંતી સિદ્ધિ હાંસલ થઈ છે. આ સિદ્ધિથી માત્ર મેઘનાથી પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ અને સામતેર ગામનું નામ રોશન થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્વ. વિનોદગીરી ભુપતગીરી મેઘનાથીના અસમય અવસાન બાદ આ સમગ્ર પરિવારે ભારે આર્થિક અને માનસિક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વિકટ પરિસ્થિતિમાં માતા દક્ષાબેન મેઘનાથીએ જરાય હિંમત હારી ન હતી. તેમણે પોતે મર્યાદિત અભ્યાસ કર્યો હોવા છતાં, પોતાના સંતાનોને ઉત્તમ અને ઉચ્ચ શિક્ષણ અપાવીને ડોક્ટર બનાવવાનું એક મોટું સ્વપ્ન સેવ્યું હતું. બીજી બાજુ, બાળકોએ પણ પિતાની ગેરહાજરીની ખાલીપો અનુભવવા દીધા વગર માતાના આ સ્વપ્નને જ પોતાનું સર્વોચ્ચ લક્ષ્ય બનાવી લીધું હતું અને રાત-દિવસ એક કરીને અભ્યાસ કર્યો હતો.
આ પરિવારના પુત્ર ઓમકારગીરીએ તાજેતરમાં જ હિંમતનગર સ્થિત ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં M.B.B.S. ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. પુત્રી દેવાંશીબેને B.A.M.S. (આયુર્વેદ મેડિકલ) નો અભ્યાસ સફળતાપૂર્વક પૂરો કર્યો છે. વિશેષ વાત એ છે કે તેમણે પોતાના વતન સામતેર ગામના જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ડોક્ટર તરીકે પોતાની ઇન્ટર્નશીપની સેવાઓ શરૂ કરી છે. અન્ય એક પુત્રી ઉમાબેન હાલ અમદાવાદની પ્રખ્યાત એમ. કે. શાહ મેડિકલ કોલેજમાં M.B.B.S. ના ચોથા વર્ષમાં રહીને તબીબી અભ્યાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેઓ પણ પોતાની ડિગ્રી પૂર્ણ કરશે.
